ગુજરાત
News of Wednesday, 21st March 2018

તત્કાલીન મુખ્‍યમંત્રી તરીકે રજૂઆત કર્યા બાદ સાબરમતી આશ્રમને પુનઃ જીવિત કરવા માટેના પ્રોજેક્ટને હજુ સુધી વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી તરફથી મંજૂરી મળી નથી

ગાંધીનગરઃ મુખ્‍યમંત્રી તરીકે કાર્યરત હતાં ત્‍યારે શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ અમદાવાદના સાબરમતી આશ્રમને પુનઃજીવિત કરવા માટે કેન્‍દ્રની સહાયથી રૂૂ.૨૮૭ કરોડનો પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો. જો કે, ત્‍યારબાદ વડાપ્રધાનપદે નરેન્‍દ્રભાઇ મોદી સત્તારૂઢ થયા છે પરંતુ હજુ સુધી આ પ્રોજેક્ટને મંજૂરી મળી નથી.

સોમવારે ગુજરાતના પ્રવાસન પ્રધાન ગણપત વસાવાએ સત્તાવાર રીતે જણાવ્યું કે, ‘2013ની સૂચી પ્રમાણે કેન્દ્ર સરકાર પાસે ગુજરાતના પડતર પડેલા મુદ્દાઓમાં ગાંધી આશ્રમને પુનર્જિવિત કરવાનો મુદ્દો પણ છે.સોમવારે વિધાનસભામાં વસાવા લેખિતમાં કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન સેખ અને હિમ્મતસિંહ પટેલના સવાલનો જવાબ આપતા હતા. તેમણે કહ્યું કે, ‘પાછલા બે વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા આ મુદ્દે એકવાર ફોલોઅપ કરવામા આવ્યું હતું.

ગત વર્ષે સાબરમતિ આશ્રમની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થતા મુલાકાતે આવેલ વડાપ્રધાન મોદી આ અંગે જાહેરાત કરશે તેવું માનવામાં આવતું હતું. જોકે હજુ સુધી આ પ્રોજેક્ટને મંજૂરી મળી નથી. જ્યારે મહત્વપૂર્ણ બાબત એ છે કે વડાપ્રધાન બન્યા બાદ બેવાર તેઓ તેમના સમકક્ષ વિદેશી નેતાઓને લઈને આશ્રમની મુલાકાતે આવી ચૂક્યા છે.

ગુજરાત સરકારે સૌ પ્રથમ ગાંધી આશ્રમને પુનર્જિવિત કરવા માટેની રુપરેખા જુલાઈ 2009માં કેંદ્રિય પ્રવાસન વિભાગને આપી હતી. પરંતુ કેન્દ્રની કોંગ્રેસ સરકાર દ્વારા પ્રોજેક્ટને મંજૂરી આપવામાં ન આવતા રાજ્યની મોદી સરકારે ફરીવાર તેનું રીવાઇઝ્ડ વર્ઝન કેન્દ્રને સોંપ્યું હતું.

આ પ્લાન સેન્ટર ફોર એન્વાયરોમેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજી યુનિવર્સિટી(CEPT) અને તાજેતરમાં 7 માર્ચના રોજ આર્કિટેક્ચરનો નોબેલ પ્રાઇઝ ગણાતો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર પ્રિત્ઝકર પ્રાઇઝ-2018 મેળવનાર પ્રખ્યાત આર્કિટેક્ટ બી.વી. દોશી દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્ય સરકારે ગાંધી આશ્રમના વિસ્તારને સાઇલેન્ટ એરિયા તરીકે જાહેર કરવાનો પ્લાન કર્યો હતો.

જ્યારે ગાંધી આશ્રમ ખૂબ જ ગીચ કોમર્શીયલ અને રહેણાંક ધરાવતો વિસ્તાર છે તેમજ આશ્રમની ફરતે ભારે વાહનવ્યવહાર ધરાવતા રોડ આવેલ છે. જેથી આશ્રમને પુનર્જિવિત કરવાના પ્લાનમાં આ હેરિટેજ સાઇટના સ્ટક્ચર અને અસ્તિત્વને સંરક્ષણ આપવું તેમજ આશ્રમના ઐતિહાસિક બિલ્ડિંગની ફરતે જાહેર જગ્યાઓનું એકત્રિકરણ કરવું અને બાંધકામને મજબૂતાઈ આપવી જેવા મુદ્દાઓ હતા.

(5:56 pm IST)