આનંદ નજીક વિદ્યાનગરમાં જવેલર્સની દુકાનને નિશાન બનાવી તસ્કરોએ રાત્રીના સમયે 2.50 લાખના દાગીનાની ઉઠાંતરી કરી
આણંદ: પાસેના વિદ્યાનગરના મોટા બજાર વિસ્તારમાં આવેલ એક જ્વેવર્સની દુકાનમાં ગઈકાલ રાત્રિના સુમારે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો દુકાનનું શટર તોડી અંદર પ્રવેશ કરી આશરે રૂા.૨.૫૦ લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી છે. આ બનાવ અંગે વિદ્યાનગર પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
વિદ્યાનગરના મોટાબજારની ચોકડી નજીક ભાથીજી મંદિર પાસે હિમાશુંભાઈ ચંદુભાઈ સોનીની જ્વેલર્સની દુકાન આવેલ છે. ગઈકાલ સાંજના સુમારે દુકાનનું કામકાજ પતાવી તેઓ દુકાનને તાળુ મારી પોતાના ઘરે ગયા હતા. દરમ્યાન રાત્રિના સુમારે અજાણ્યા તસ્કરો તેઓની દુકાનમાં ત્રાટક્યા હતા. તસ્કરોએ કોઈ વજનદાર વસ્તુથી દુકાનનું શટર ઉંચુ કરી દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને દુકાનમાં મુકેલ કબાટ સહિતના ડ્રોઅરોમાં મુકેલ માલસામાન રફેદફે કરી આશરે બે કિલો ચાંદી તથા પાંચ ગ્રામ સોનાના દાગીના મળી લગભગ રૂા.૨.૫૦ લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. દરમ્યાન આજે સવારના સુમારે હિમાશુંભાઈ રાબેતા મુજબ પોતાની દુકાન ખાતે પહોંચતા દુકાનનું શટર ઉંચુ જોતા ચોંકી ઉઠયા હતા. તેઓએ દુકાનમાં જઈ તપાસ કરતા અંદરનો માલસામાન વેરવિખેર જોવા મળ્યો હતો અને દાગીના અંગે તપાસ કરતા ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ તુરંત જ વિદ્યાનગર પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસની ટીમ તુરંત જ ઘટના સ્થળે દોડી આવી હતી અને આસપાસની દુકાનના સીસીટીવી તેમજ મોટા બજાર ચોકડી ખાતે લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરાની ફુટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.