અશાંતધારાનું નવું જાહેરનામુ પ્રસિધ્ધ કરવા પર હાઇકોર્ટનો સ્ટે
અશાંતધારાના કાયદામાં થયેલા સુધારાઓને પડકાર : નવા સુધારાઓ કાયમી સાંપ્રદાયિક વિભાજન માટે અને દરેક ધર્મ-સમુદાયના 'ઘેટ્ટો' બનાવવા કરાયા હોવાની રજૂઆત
અમદાવાદ તા. ૨૧ : ગુજરાતમાં અશાંતધારાના કાયદાની જોગવાઇઓમાં રાજય સરકારે ઓકટોબર-૨૦૨૦માં કરેલા સુધારાઓને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યા છે. નવાં સુધારાઓ મુજબ જાહેરનામું પ્રસિદ્ઘ કરવા પર અને કોઇ વિસ્તારને અશાંતધારા હેઠળના જાહેર કરવા પર ગુજરાત હાઇકોર્ટે સ્ટે ફરમાવ્યો છે. જમિયત ઉમલા-એ-હિંદ દ્વારા આ સુધારાઓની બંધારણીયતાને પડકારવામાં આવી છે. કોર્ટે રાજય સરકારને નોટિસ પાઠવી જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો છે.
અરજદાર સંસ્થા દ્વારા અશાંતધારાના કાયદમાં કરાયેલા સુધારાઓને પડકારવામાં આવ્યા હતા, જેમાં રજૂઆત કરવામાં આવી હતી કે આ સુધારાઓ સમાનતા અને બિનસાંપ્રદાયિકતાના સિદ્ઘાંતોનું હનન કરે છે તેમજ તેના કારણે સાંપ્રદાયિક વર્ગીકરણ કાયમી થઇ જશે. ગુજરાતમાં આ કાયદો અને તેનું પાલન ઘણું જૂનું છે, પરંતુ આ કાયદાના કારણે સમાજના વધુ ભાગલા થયા છં. મુસ્લિમ વ્યકિત લઘુમતી વિસ્તારમાં જ મકાન ખરીદી શકે અને હિન્દુ વ્યકિત હિન્દુ વિસ્તારમાં જ રહી શકે કે મિલકત ખરીદ, વેચાણ કે ટ્રાન્સફર કરી શકે તેવું સુનિશ્યિત કરવા માટે સરકાર દ્વારા આ કાયદા હેઠળ વિવિધ આદેશો કરાતા રહ્યા છે.
કાયદામાં ઓકટોબરમાં થયેલા સુધારાઓના કારણે કોઇ એક જ ધર્મ કે સમુદાયના લોકોનું કલસ્ટરિંગ કે જમાવડો એક જ જગ્યા એ થશે. કોઇ ચોક્કસ સમુદાયના સમાન ધાર્મિક મૂલ્યો, રિવાજો, ધર્મસ્થાનો અને ઓળખ ધરાવતા લોકોનું કલસ્ટરિંગ યાગ્ય ગણવામાં માગશે. બંધારણ પ્રમાણે દરેક નાગરિકને દરેક વિસ્તારમાં કમાવાનો અને રહેવાનો અધિકાર મળ્યો છે. આ કાયદાથી સરકાર ચોક્કસ સમુદાયના ઘેટ્ટો બનાવવા માગે છે. આ પિટિશનના વિરોધમાં રાજય સરકારે રજૂઆત કરી હતી કે તેમણે હજુ સુધી આ કાયદા હેઠળનું જાહેરનામું પ્રસિદ્ઘ કર્યુ નથી, કારણ કે આ સુધારાઓ પર હજુ રાજયપાલની સંમતિ લેવાની બાકી છે. જેથી નવું જાહેરનામું પ્રસિદ્ઘ કરવા પર હાઇકોર્ટે વચગાળાનો સ્ટે ફરમાવ્યો છે.