ગુજરાત
News of Monday, 22nd February 2021

અમદાવાદમાં AIMIM ખાતુ ખોલાવશે પણ કોંગ્રેસની સ્થિતિ નહીં સુધરે : IB નો રિપોર્ટ

અમદાવાદ અને વડોદરામાં ભાજપની પેનલ તૂટવાની શક્યતા :કોંગ્રેસમાં અને આપના વોટ ડાયવર્ટ થતા ભાજપ સત્તા બનાવશે

અમદાવાદ : રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે રવિવારે મતદાન યોજાયું હતું. અમદાવાદ મહાનગરપાલિકામાં 42.51 ટકા જેટલું મતદાન થયું હતું અને વડોદરામાં 47.99 ટકા મતદાન થયું છે. જો કે, છેલ્લી ઘડીએ મતદાન વધારવા માટે રાજકીય પક્ષોમાં ભારે ભાગદોડ જોવા મળી હતી અને લોકોને મત આપવા માટેની અપીલો કરવામાં આવી રહી હતી. તેમ છતાય ઘણા મતદારો મત આપવા માટે જવાનું ટાળ્યું હતું. આવતી કાલની સવારની લોકોમાં ભારે ઉત્સુક્તા જોવા મળી રહી છે. આ સાથે સ્ટેટ આઈબીના સરવેમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા છે. જેમાં અમદાવાદ અને વડોદરામાં ભાજપની પેનલ તૂટવાની શક્યતા સેવાઈ રહી છે જેથી કોંગ્રેસને ફાયદો થશે. તેમજ અમદાવાદમાં કોંગ્રેસના ઘણા મતો આમ આદમી પાર્ટી અને AIMIMને પડ્યા છે.

 આ વખતે મતદારોને રિઝવવા માટે ઉમેદવારો દ્વારા ઘણા અવનવા પેંતરાઓ કરવામાં આવ્યા હતા તેમ છતાય તેઓ નિષ્ફળ રહ્યા છે. જો કે, ભારતીય જનતા પાર્ટીના ઘણા નેતાઓ નિષ્ક્રિય રહ્યા હોવાની વાતો સાંભળવા મળી રહી છે. જેના કારણે ભાજપને નુકસાન થાય તેવી ભીતી પણ સેવાઈ રહી છે. અમદાવાદમાં મુસ્લિમ વિસ્તારમાં કોગ્રેસના ઘણા વોટ તૂટ્યા છે. લોકોએ આ વખતે આમ આદમી પાર્ટી અને AIMIMને વોટ આપ્યા હોવાની વિગતો સામે આવી રહી છે.

 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આ વખતે AIMIM પોતાનું ખાતુ ખોલશે. કેમ કે તમામ મુસ્લિમોમાં ગતરોજ AIMIM ને વોટ આપવા માટે સારો એવો ક્રેઝ જોવા મળ્યો હતો. કોંગ્રેસમાં અને આપના વોટ ડાયવર્ટ થયા એટલે હવે અમદાવાદમાં ભાજપ સત્તા બનાવશે પરંતુ તેમની અનેક જગ્યાએ પેનલ તૂટશે. AIMIM પોતાનું ખાતું અમદાવાદમાં ખોલશે, કોંગ્રેસનો સ્થિતિમાં કોઈ ખાસ ફરક નહિ પડે.

બીજી તરફ રાજકોટમાં એક બે વોર્ડમાં ભાજપની ચાલુ સત્તામાં ગાબડું પડી શકે છે. જ્યાં પણ સ્થાનિક નેતાઓ નિષ્ક્રિય રહ્યા હોવાની અસર રહી હતી.વડોદરામાં કોંગ્રેસની સ્થિતિ અગાઉ કરતા સારી થઈ શકે છે. જ્યાં લઘુમતી સમાજના મતદાનની ટકાવારી વધી શકે છે. જેનો ફાયદો કોંગ્રેસને થશે પરંતુ ભાજપની સરસાઈ ઘટી શકે છે. સુરતમાં સૌરાષ્ટ્ર ફેક્ટરે કામ કર્યું છે. જેની અસર ઉમેદવારને સીધી મતદાન પર થઇ છે. ‘આપ’ અને કોંગ્રેસનું સ્થિતિમાં સુધારો થશે. સુરતમાં ભાજપની પેનલ તૂટી શકે છે.

મંગળવારે સવારે 8 વાગ્યાથી અમદાવાદમાં એલ.ડી એન્જિનિયરીંગ કોલેજ અને ગુજરાત કોલેજ એમ બે જગ્યાએ મત ગણતરી થવાની છે. મતગણતરીને લઈ વહીવટી તંત્રએ તૈયારીઓ કરી લીધી છે. બંને મતગણતરી કેન્દ્રમાં 24 – 24 વોર્ડની મતગણતરી થવાની છે. મતગણતરી કેન્દ્રમાં ચૂંટણી એજન્ટ અને ઉમેદવારને જ પ્રવેશ આપવામાં આવશે. બંને મતગણતરી કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્ટ્રોંગરૂમમાં EVM મશીન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રાખવામાં આવ્યા છે

એલ.ડી. કોલેજમાં થલતેજ, મકતમપુરા, ઇન્દ્રપુરી, વસ્ત્રાલ, રામોલ – હાથીજણ, સરદારનગર, કુબેરનગર, નરોડા, દરિયાપૂર, ખાડિયા,જમાલપુર,સૈજપુર બોઘા, ઇન્ડિયા કોલોની, ઠક્કરબાપાનગર, બહેરામપુરા , લંભા, વટવા, પાલડી, વાસણા, નવરંગપુરા, બાપુનગર, સરસપુર -રખિયાલ, ગોમતીપુર

ગુજરાત કોલેજમાં સાબરમતી, ચાંદખેડા, રાણીપ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ગોતા, દાણીલીમડા, જોધપુર, ઇસનપુર, મણિનગર, વેજલપુર, સરખેજ, નવા વાડજ, નારણપુરા, સ્ટેડિયમ, અમરાઈવાળી, ભાઈપુરા – હાટકેશ્વર, ખોખરા, નિકોલ, વિરાટ નગર, ઓઢવ, શાહપુર, શાહીબાગ, અસારવા

(8:27 pm IST)