ગુજરાત
News of Wednesday, 25th March 2020

ગુજરાતમાં કોરોનાના વધુ ચાર કેસ નોંધાયા : કેસોની સંખ્યા ૩૯

અમદાવાદમાં પોઝિટિવ કેસોની સંખ્યા રાજ્યમાં સૌથી વધુ છે : જીવલેણ કોરોના વાયરસને આગળ વધતો રોકવા માટે યુદ્ધના ધોરણે પગલાનો દોર જારી : અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમા એક-એક કેસ સપાટીએ

અમદાવાદ, તા.૨૫ :  ગુજરાતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા વધીને ૩૯ ઉપર પહોંચી ગઈ છે જેમાં અમદાવાદમાં પોઝિટિવ કેસોની સંખ્યા સૌથી વધુ ૧૪ નોંધાઈ છે. આવી જ રીતે ગુજરાતમાં કેસોને રોકવા માટે વિવિધ પગલા લેવાઈ રહ્યા છે. એક પછી એક પગલાનો દોર જારી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના ચાર કેસ નોંધાતા કેસોની સંખ્યા વધીને ૩૯ ઉપર પહોંચી છે. ગુજરાતમાં ૨૦૬૮૮ દર્દીઓ ૧૪ દિવસના ક્વોરેનટાઈન હેઠળ ૧૪૭ વ્યક્તિઓ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ આજે કોરોના વાયરસના વ્યાપ અને સંક્રમણને રોકવા રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવી રહેલા પગલાની માહિતી આપી હતી. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ જયંતિ રવિએ જણાવ્યું છે કે કોરોના વાયરસને આગળ વધતો તેમજ તેનું સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકારે સર્વેલન્સ અને ટ્રેકિંગને વધુ સઘન બનાવ્યું છે. આજ સુધીમાં રાજ્યમાં ૧,૦૭,૬૨,૦૧૨ નાગરિકોનું સર્વેલન્સ-ટ્રેકિંગ પૂર્ણ કરાયું છે.

                આજે સવારે કોરોના વાયરસ સંદર્ભે રાજ્ય સરકારે કરેલ કામગીરીની વિગતો મીડિયાને આપતા ડૉ. રવિએ ઉમેર્યું કે આજે રાજ્યમાં વધુ ત્રણ નવા કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે આ સાથે કુલ ૩૮ પોઝિટિવ કેસ નોંધાયા છે આજે જે ત્રણ કેસ નોંધાયા છે તેમાં એક અમદાવાદમાં જે દુબઈની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે અને એક- એક વડોદરા અને સુરતમાં છે જે સ્થાનિક ટ્રાન્સમિશનના કારણે નોંધાયો છે. આજદિન સુધી અમદાવાદમાં ૧૪, સુરતમાં ૦૭, રાજકોટમાં ૦૩, વડોદરામાં ૦૭, ગાંધીનગરમાં ૦૬ અને કચ્છમાં ૦૧ કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો છે. રવિએ ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા સર્વેલન્સની કામગીરીને વધુ સઘન બનાવાઈ છે. સર્વેલન્સ દરમિયાન ૫૦ વ્યક્તિઓમાં રોગની અસર જણાતા વધુ તપાસ કરવામાં આવી છે. રાજ્યમાં ૨૦,૬૮૮ નાગરિકો ૧૪ દિવસના કોરેન્ટાઈન હેઠળ છે જેમાં ૪૩૦ વ્યક્તિઓ સરકારી હોસ્પિટલમાં, ૨૦,૨૨૦ હોમ કોરેન્ટાઈન અને ૩૮ ખાનગી કોરેન્ટાઈન હેઠળ છે.

               જે લોકોએ કોરેન્ટાઈનનો ભંગ કર્યો છે તેવા ૧૪૭ વ્યક્તિઓ સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. રાજ્યમાં ૧૦૪ હેલ્પલાઇન પણ કાર્યરત છે જેમાં અત્યાર સુધીમાં ૧૫ હજારથી વધુ કોલ આવ્યા છે. જેમને માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે જે પૈકી ૨૫૮ વ્યક્તિઓને  સારવાર પુરી પડાઇ છે. ડૉ. રવિએ ઉમેર્યું હતું કે રાજ્યના ૪ મહાનગરોમાં કોરોના વાયરસ વાળા દર્દીઓની સારવાર માટે ખાસ હોસ્પિટલ કાર્યરત કરાઇ છે જેમાં અમદાવાદમાં ૧૨૦૦ બેડ, સુરતમાં ૫૦૦ બેડ, વડોદરા અને રાજકોટમાં ૨૫૦-૨૫૦ બેડની સુવિધા ઉપલબ્ધ છે. સાથે સાથે રાજ્યમાં ૧૫૮૩  આઇસોલેશન બેડ સરકારી હોસ્પિટલમાં અને ૬૩૫ બેડની વ્યવસ્થા ખાનગી હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે. અને વધુ બેડ ઉભા કરવાની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાઈ છે. ગંભીર દર્દીઓને સારવાર માટે તમામ વિભાગોમાં થઈને સરકારી હોસ્પિટલ ખાતે ૬૦૯ વેન્ટિલેટર અને ખાનગી સંસ્થાઓમાં અંદાજે ૧૫૦૦ જેટલા વેન્ટિલેટર ઉપલબ્ધ છે. તેમણે ઉમેર્યું કે રાજ્યની અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર તથા જામનગર ખાતેની મેડિકલ કોલેજોમાં કોવિદ-૧૯ અંતર્ગત લેબોરેટરી ટેસ્ટ માટે ટેસ્ટીંગની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

                કોરોના વાયરસ રોગનો ફેલાવો અટકે તે માટે સોશિયલ ડિસ્ટન્સિંગ અત્યંત અનિવાર્ય છે ત્યારે નાગરિકો પણ તેની ખાસ તકેદારી રાખે એ માટે રાજ્ય સરકાર દ્વારા અપીલ પણ કરાઈ છે તેમ તેમણે ઉમેર્યું હતું. ગુજરાતમાં કોરોના વાયરસનાંે કહેર વધતો જાય છે. છેલ્લા ૨૪ કલાકમાં નવા પાંચ કેસો સામે આવ્યા છે, જેમાં અમદાવાદ, સુરત અને વડોદરામાં વધુ એક-એક કોરોના પોઝિટિવના કેસ સામે આવ્યા છે. જયારે ગઇકાલે સાંજે રાજકોટના બે કોરોના પોઝિટિવ કેસનો સમાવેશ થાય છે. જેને પગલે સરકાર અને તંત્ર દોડતુ થઇ ગયુ છે. રાજયમાં કુલ નોંધાયેલા કોરાના પોઝિટિવના ૩૯ કેસોમાં સૌથી વધુ અમદાવાદમાં ૧૪ કેસ નોંધાયા છે. સરકાર અને તંત્રએ આ તમામ કોરોના પોઝિટિવના દર્દીઓની સઘન અને અસરકારક સારવાર શરૂ કરી છે અને સતત તેઓને ઓર્બ્ઝર્વેશન હેઠળ રાખી સમગ્ર પરિસ્થિતિ પર બાજ નજર રાખી રહી છે. વડાપ્રધાન મોદીએ ગત રોજ સમગ્ર દેશ માટે કોરોના વાયરસને ધ્યાને રાખી ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. ત્યારે દેશમાં પણ કોરોના વાયરસના કારણે દર્દીઓની સંખ્યા વધી રહી છે.

               તો, ગુજરાતમાં પણ છેલ્લા ૨૪ કલાકમાં ૪ નવા કેસ નોંધાયા છે. આ નવા કેસમાં જોઈએ અમદાવાદમાં ૧૪, સુરતમાં ૭, રાજકોટમાં ૪, વડોદરામાં ૭ અને ગાંધીનગરમાં ૬ તથા કચ્છમાં ૧ કેસ સામે આવ્યો છે. આમ કુલ મળી ગુજરાતમાં ૩૯ કેસ નોંધાયા છે.  આમ, અમદાવાદ, વડોદરા અને સુરતમાં એક-એક નવા કોરોના પોઝિટિવના કેસો ઉમેરાયા છે. આરોગ્યવિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજી સંબોધન કરતા જણાવ્યું કે, અમદાવાદનો જે કેસ સામે આળ્યો છે, તેમાં એક મહિલાનો દુબઇ ટ્રાવેલનો કેસ છે. જયારે વડોદરા અને સુરતના બંને કેસો લોકલ ટ્રાન્સમીશનના છે એટલે કે, તેમને કોરોના વાયરસનો ચેપ લાગ્યો કોઇનાથી લાગી ગયો હશે. તેમણે કોરોનાની પરિસ્થિતિ વકરી રહી હોઇ લોકડાઉન દરમ્યાન પોતપોતાના ઘરોમાં જ રહેવા નાગરિકોને અપીલ કરી હતી.

                તેમણે ઉમેર્યું કે, લોકડાઉન દરમિયાન સરકારી મેડિકલ સેવા તથા હોસ્પિટલ ચાલુ રહેશે. આ ઉપરાંત કોરોના વાયરસના કહેર વચ્ચે લોકોને મદદ માટે દાન કરવા માગતા લોકો મુખ્યમંત્રી રાહતફંડમા ઉદાર હાથે દાન કરવા માટે આગળ આવે. વડોદરામાં વધુ એક વ્યક્તિ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નિઝામપુરા વિસ્તારના યુવકનો કેસ કોરોના પોઝિટિવ કેસ આવતા તંત્ર ચિંતિત બન્યું છે. યુવાનના પિતા અને અન્ય લોકો શ્રીલંકાના પ્રવાસે ગયા હતા. ત્યારબાદ યુવાનના પિતાનો ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. વધુ એક રિપોર્ટ પોઝિટિવ આવતા વડોદરામાં કોરોનાના પોઝિટવ કેસની સંખ્યા વધીને ૭ થઈ ગઈ છે. આ જ પ્રકારે સુરત શહેરમાં વધુ એક કેસ પોઝિટિવ નોંધાયો છે. જેથી પોઝિટિવનો આંકડો સાત પર પહોંચ્યો છે. જ્યારે એકનું મૃત્યું પણ નીપજ્યું છે. હાલ ચાર જેટલા શંકાસ્પદ છે જેનો રિપોર્ટ આવવાનો બાકી છે.

ગુજરાતમાં કોરોના કેસો

અમદાવાદ, તા. ૨૫ : દેશ અને દુનિયાની સાથે સાથે ગુજરાતમાં પણ ઝડપથી કેસોમાં વધારો થયો છે. ગુજરાતમાં કોરોનાના ક્યાં કેટલા કેસ નોંધાયા તે નીચે મુજબ છે.

શહેર............................................................... કેસ

અમદાવાદ...................................................... ૧૪

વડોદરા.......................................................... ૦૪

સુરત.............................................................. ૦૭

રાજકોટ........................................................... ૦૪

ગાંધીનગર...................................................... ૦૬

કચ્છ............................................................... ૦૧

ગુજરાતમાં કુલ કેસ     ૩૯

(8:43 pm IST)