ખંભાત તાલુકાના નગરા ગામે રાત્રીના સુમારે ફળિયામાં થયેલ કીચડ બાબતે ઠપકો આપતા ઉશ્કેરાયેલ શખ્સનો ધારિયાથી હુમલો :1 ગંભીર રીતે ઈજાગ્રસ્ત
ખંભાત: તાલુકાના નગરા ગામે આવેલા અંબા માતાના મંદિર પાસે ગઈકાલે રાત્રીના સુમારે ફળિયામાં થયેલા કીચડ બાબતે ફળિયાના આગેવાનને ઠપકો આપતાં ઉશ્કેરાયેલા આગેવાને ધારીયાથી હુમલો કરીને મોઢા તેમજ ડાબા હાથની કોણી ઉપર મારીને ફ્રેક્ચર કરી નાંખતા આ અંગે ખંભાત રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર ખેતી અને મજુરી કરીને જીવન ગુજરાન ચલાવતા અજીતભાઈ શંકરભાઈ નાગરે ગઈકાલે રાત્રીના આઠેક વાગ્યાના સુમારે ફુલાભાઈ રણછોડભાઈ વણકરને કહેલ કે તમો આપણા ફળિયાના આગેવાન છો અને કીચડ આપણા ફળિયામાં થાય છે તો તે સાફ કરાવતા નથી તેમ કહીને ઠપકો આપતાં ફુલાભાઈ ગમેતેમ બોલવા લાગ્યા હતા અને ઘરમાંથી ઘારીયું લઈને આવી ધારીયાનું પુઠુ મોઢાના ભાગે તેમજ હાથની કોણી ઉપર મારી દેતાં ફ્રેક્ચર થઈ જવા પામ્યું હતુ. ત્યારબાદ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.