ગુજરાત
News of Tuesday, 13th August 2019

પોલીસને હથિયારો ચકાસીને સાથે રાખવાનો હુકમ કરાયો

દહેશતને લઈને રાજયના ડીજીપીનો આદેશ : પોલીસ પેટ્રોલિંગ વાહનોમાં પણ હથિયાર સાથે રાખવાનો આદેશ : હથિયારમાં ખામી હોય તો બદલાવી દેવા આદેશ

અમદાવાદ, તા.૧૩ : જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવ્યા બાદ અને તા.૧૫મી ઓગસ્ટને અનુલક્ષીને દેશભરના રાજ્યોને એલર્ટ કરવામાં આવ્યા છે. આઇબીને મહત્વના ઈનપુટ મળ્યા છે કે ગુજરાત અને મહારાષ્ટ્રમાં આતંકી હુમલો થઈ શકે છે. આ સંદર્ભે આઇબી તરફથી ગુજરાત સરકારને મહત્વનો રિપોર્ટ પણ સુપ્રત કરવામાં આવ્યો છે. આ આતંકી હુમલાના ઈનપુટને પગલે ગુજરાત પોલીસ વડા શિવાનંદ ઝાએ તમામ પોલીસ અધિકારીઓને ચકાસણી કરીને હથિયાર સાથે રાખવાનો આદેશ કર્યો છે.

        એટલું જ નહી, સાથે સાથે પોલીસ પેટ્રોલિંગ વાહનોમાં પણ હથિયાર સાથે રાખવાનો આદેશ આપતાં ડીજીપીએ જો હથિયારમાં ખામી હોય તો હેડ ક્વાર્ટરમાં બદલાવી લેવા પણ તાકીદ કરી છે. આઇબી(ઈન્ટેલિજન્સ બ્યૂરો)એ ગુજરાતના મહત્વના સ્થળો પર આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરી છે. આગામી સ્વાતંત્ર્યદિન તથા પવિત્ર શ્રાવણ માસ ચાલતો હોવાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી, સોમનાથ મંદિર, અંબાજી મંદિર સહિતના યાત્રાધામ અને બૉર્ડર તથા દરિયાઇ સુરક્ષા વધારી દેવામાં આવી છે.

         જ્યારે ગુજરાતમાં પ્રવેશના તમામ માર્ગો પર ઠેર ઠેર નાકાબંધી કરીને વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, ખાસ કરીને અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં પણ પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ કોઇપણ પ્રકારની ભાંગફોડ પ્રવૃત્તિ ન બને તેને ધ્યાનમાં રાખીને પોલીસ સતર્ક બની છે. જાહેર સ્થળો પર સુરક્ષા બંદોબસ્ત વધુ ચુસ્ત બનાવી દેવામાં આવ્યો છે. બીજી તરફ કચ્છ-ભુજ બોર્ડર પર પણ ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જ્યારે કોસ્ટ ગાર્ડને પણ એલર્ટ રહેવાના આદેશો આપી દરિયાઇ સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.

કેન્દ્ર સરકારે કાશ્મીરમાંથી ૭૦ વર્ષ જૂની ૩૭૦ની કલમ હટાવી હોવાથી આતંકી હુમલાની દહેશતના પગલે ભારત સરકારે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ગુજરાત સહિતના રાજ્યોને એલર્ટના આદેશો આપ્યા છે. જેથી ગૃહ વિભાગ દ્વારા તકેદારીના પગલાં ભરવા માટે સૂચના આપવામાં આવી છે. જે પવિત્ર યાત્રાધામ, એરપોર્ટ, રેલવે, એસટી બસ સ્ટોપ સહિતના જાહેર સ્થળો પર સુરક્ષા વધારીને ઠેર ઠેર નાકાબંધી કરીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

(7:47 pm IST)