આણંદ તાલુકાના અજરપુરામાં ગેસ કટરની મદદથી તસ્કરોએ 5.24 લાખની મતાની ઉઠાંતરી કરી
આણંદ: તાલુકાના અજરપુરા ગામે આવેલા દેના બેંકનું એટીએમ મશીન ગેસ કટરથી કાપીને તસ્કરો અંદરથી ૫.૨૪ લાખ ઉપરાંતની રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે આણંદ રૂરલ પોલીસે ચોરીનો ગુનો દાખલ કરીને એફએસએલની મદદથી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર દેના બેંક દ્વારા અજરપુરા ગામમાં એટીએમ મશીન કાર્યરત કરીને ગ્રાહકો માટે સુવિધા ઊભી કરી હતી. ગત તારીખ ૯મીના રોજ સાંજના સાડા પાંચેક વાગ્યાના સુમારે એટીએમમાંથી છેલ્લું ટ્રાન્ઝેક્શન થયું હતુ. ત્યારબાદ ૧૧મીએ સાંજના ૪.૨૯ મિનિટે એક ગ્રાહક એટીએમમાં પૈસા ઉપાડવા જતાં મશીન બંધ હાલતમાં હતુ જેથી તપાસ કરતા ચોરી થયાનું લાગ્યું હતુ. જે અંગે બેંકના અધિકારીઓને જાણ કરતાં તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને જોયું તો કોઈ શખ્સોએ એટીએમ મશીનને ગેસ કટરથી કાપી નાંખીને અંદર મૂકેલા ચાર કેશ બોક્સ કે જેમાં રોકડા ૫,૨૪,૯૦૦ની રોકડ રકમ હતી તેની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.