હવે અમદાવાદ સહીત રાજ્યના અન્ય રેલ સ્ટેશનોમાં રેલનીર બ્રાન્ડ સિવાયનું પાણી વેચી શકાશે નહીં : રેલવે બોર્ડનો આદેશ
સાણંદના પ્લાન્ટમાં દરરોજ 90 હજારથી એક લાખ પાણીની બોટલો એટલે કે 6 હજારથી વધુ બોક્સ તૈયાર કરાશે
અમદાવાદ :રેલવે બોર્ડના આદેશ બાદ અમદાવાદ સહિત રાજ્યના અન્ય સ્ટેશનો પર સોમવારથી રેલનીર બ્રાન્ડ સિવાયનું પાણી વેચી શકાશે નહીં. આ આદેશના પગલે આ સ્ટેશનો પર અન્ય બ્રાન્ડની પાણીની બોટલોનું વેચાણ બંધ કરી દેવાશે. જો કોઈ સ્ટોલ ધારક અન્ય બ્રાન્ડનું પાણી વેચશે તો તેની સામે પગલાં લેવામાં આવશે.
ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) દ્વારા અમદાવાદ નજીક સાણંદ ખાતે શરૂ કરાયેલા રેલનીર પ્લાન્ટમાંથી આ સ્ટેશનો પર રેલનીર પહોંચાડવામાં આવશે. સાણંદના પ્લાન્ટમાં દરરોજ 90 હજારથી એક લાખ પાણીની બોટલો એટલે કે 6 હજારથી વધુ બોક્સ તૈયાર કરવામાં આવશે.
રાજ્યના અમદાવાદ , પાલનપુર, વીરમગામ, ગાંધીનગર, મણિનગર, સાબરમતી, સુરેન્દ્રનગર, નડિયાદ, ગાંધીધામ, મહેસાણા, રાજકોટ, ભાવનગર, જામનગર, દ્વારકા, ઓખા, આણંદ, ગોધરા, ભરૂચ, અંકલેશ્વર, દાહોદ, આબુરોડ, ઉદયપુર સિટીના સ્ટેશનમાં રેલનીર વેચાણ થશે