ગુજરાતમાં ૭૮ નિરીક્ષકો દ્વારા લોકસભાની ચૂંટણી માટે ભાજપના હોદ્દેદારોના સેન્સ લેવાની પ્રક્રિયા
અમદાવાદ: લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. ત્યારે ભાજપ પક્ષ લોકસભાની તૈયારીમાં લાગી ચુક્યો છે અને ઉમેદવારોની પસંદગીમાં મંડી પડ્યું છે. આજે સમગ્ર ગુજરાતમાં પ્રદેશ 78 નિરીક્ષકો દ્વારા ત્રણ દિવસ સુધી અલગ અલગ બેઠકો પર ભાજપના હોદેદારોના સેન્સ (ઓપીનીયન) લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જેમાં લોકસભા બેઠકમાં કયો ઉમેદવાર ચાલી શકે, કયા કારણો છે અને કેટલા દાવેદારો છે તે અંગે માહિતી એકત્રિક કરવામાં આવશે ત્યાબાદ પાર્લામેન્ટ્રી બોર્ડ સમક્ષ રીપોર્ટ સબમિટ કરશે.
અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક માટે સેન્સ લેવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. નિરિક્ષકોમાં શંકર ચૌધરી, જીવરાજ ચૌહાણ અને અસ્મિતાબેન શિરોયા ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા અને શહેરના હોદેદારો સાથે સંકલન બેઠક યોજી હતી. જેમાં નિરિક્ષકો હોદ્દેદારોનો મત જાણશે અને ત્યારબાદ દાવેદારોને પણ મળશે.
રાજકોટના ભાજપ કાર્યાલય ખાતે નરહરિ અમીન, બાબુ જેબલીયા, જયાબેન ઠક્કર સહિતના નિરીક્ષકો દ્વારા લોકસભા બેઠક માટે અપેક્ષિત કાર્યકર્તાઓના સેન્સ અને અભિપ્રાય લેવામાં આવ્યા હતા. ત્યારે બીજી બાજૂ રાજકોટ ભાજપમાં હાલના સાંસદ મોહન કંડારીયાનો વિવાદની ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે સેન્સ લેવા પહોંચેલા ભાજપના બે નેતાઓએ પીએમ મોદી રાજકોટથી ચૂંટણી લડવાને લઇને અલગ અલગ નિવેદન આપી રહ્યાં છે. જેમાં નરહરિ અમીને પીએમ મોદીના અંગત નિર્ણય જણાવીને રાજકોટથી ચૂંટણી લડે તો સોરાષ્ટ્રને ફાયદો થશે તેવો દાવો કર્યો છે. ત્યારે બીજી બાજી બાબૂ જેબલિયાએ મોદી રાજકોટથી ચૂંટણી નહીં લડે તેવું નિવેદન આપ્યું છે.
ગોધરાના ચંદનબાગ ખાતે ભાજપના ત્રણ નિરોક્ષકો જીતુભાઇ સુખડીયા, પરાક્રમસિંહ જાડેજા અને હેમાલિબેન બોઘાવાલા નિરીક્ષકો તરીકે અગ્રણી કાર્યકર્તાઓ પાસેથી સેન્સ લેવામાં આવ્યા હતા. ત્યારે સેન્સની પ્રક્રિયામાં હાલના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ, સંભવિત ઉમેદવાર ગણાતા દેવગઢ બારીયાના રાજવી તુષારબાબા, સહિતના કાર્યકર્તાઓ અને અગ્રણીઓ હાજર રહ્યાં હતા. તો આ સાથે ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજી પણ સેન્સ પ્રક્રિયામાં હાજર રહ્યાં હતા. રાજકીય સૂત્રો સી.કે.રાઉલજીને પણ સંભવિત ઉમેદવા માની રહ્યા છે.
નવસારી કમલમ ખાતે પ્રદેશ નિરીક્ષક છત્રસિંહ મોરી, નિરંજન જાજમેરા અને દર્શનાબેન દેશમુખ દ્વારા સેન્સ લેવામાં આવ્યા હતા. જેમાં નવસારી લોકસભા બેઠકમાં આવતી સાત વિધાનસભા ઉધના, મજુરા, ચોર્યાસી, લિબાયત, જલાલપોર, નવસારી અને ગણદેવીના હોદ્દેદારોના સેન્સ લેવામાં આવ્યા હતા. આ સાથે વલસાડ જિલ્લામાં ભાજપના નિરીક્ષકોમાં મંત્રી ગણપત વસાવા, જિલ્લા પ્રભારી વિવેક પટેલ અને દર્શની કોઠીયા દ્વારા ઉમેદવારોની પસંદગીને લઇને કર્યકરોના સેન્સ લેવામાં આવ્યા હતા.
લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની પસંદગી માટે નિરીક્ષકોની ટિમ ભરૂચ પહોંચી ગઇ છે. નિરીક્ષક તરીકે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, સુરતના પૂર્વ ધારાસભ્ય પ્રફુલ્લ પાનસેરિયા અને અમિતા પટેલે કાર્યકરોને સાંભળયા હતા. ત્યારે સાત વિધાનસભા મતવિસ્તારના કાર્યકરોના નિરીક્ષકો સેન્સ લેશે. અમરેલીમાં ભાજપ કાર્યાલયે પ્રદેશ નિરીક્ષકો આર.સી.ફળદુ, જેનતીભાઈ કવાડિયા અને નિમુબહેન બાભણીયા દ્વારા કાર્યકર્તાઓના સેન્સ લેવામાં આવ્યા હતા.