એસીબી દ્વારા તહેવારો પર લાંચ લેતા અધિકારીઓ સામે કડક કાર્યવાહી શરૂ
સરકારી અધિકારીઓમાં લાંચ લેવાનું પ્રમાણ પણ વધતા એસીબી દ્વારા કાર્યવાહી
અમદાવાદઃ એન્ટી કરપ્શન બ્યુરો(ACB) દ્વારા દિવાળી પહેલા લાંચ લેતા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ACBએ નવેમ્બર 6 સુધીમાં 39 કેસ નોંધ્યા છે જેમાંથી 17 કેસ તો નવેમ્બરના 6 દિવસમાં જ નોંધાયા છે. ઉનાળું વેકેશન અને તહેવારો દરમિયાન લાંચ લેતા આંકડામાં આ ઓક્ટોબર મહિનામાં સૌથી વધુ કેસ નોંધાયા છે. ચાલુ વર્ષ દરમિયાન લાંચ લેતા કુલ 273 કેસ નોંધવામાં આવ્યા છે. જેમાં 71.66 લાખની રકમ અને 593 વ્યક્તિઓનો લાંચના કેસમાં અટકાયત કરી કાયદેસરની કર્યવાહી કરવામાં આવી છે.
દિવાળીના તહેવાર ઉપરાંત એપ્રિલમાં ઉનાળું વેકેશન દરમિયાન લાંચના કુલ 37 કેસ સામે આવ્યા હતા. એસીબીના ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે કે સામાન્ય દિવસો કરતા તહેવારો પહેલા લાંચ લેવાના કેસમાં વધારો નોંધાયો છે. લાંચ લેતા અધિકારીઓમાં સૌથી વધારે ક્લાસ-3ના કર્મચારીઓ છે. એસીબીની ટ્રેપમાં ફસાયેલા 593 સરકારી અધિકારીઓમાંથી લગભગ 50 ટકા કર્ચચારીઓ ક્લાસ-3 વર્ગના છે.
આ ઉપરાંત 231 વ્યક્તિઓ-ટાઉટ્સ અથવા એજન્ટો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. અધિકારીનું કહેવું છે કે અમદાવાદ શહેરમાં આ વર્ષે અત્યાર સુધીમાં લાંચના 20 કેસ દાખલ થયા છે જે રાજ્યમાં સૌથી વધારે છે.
એસીબીના આંકડા મુજબ ગુજરાત સરકારમાં ક્લાસ-4 કર્મચારીઓ ગરીબ હોવા છતા તેઓ ઓછા ભ્રષ્ટ છે. 392 કેસમાંથી માત્ર 11 જ કર્મચારીઓ ક્લાસ-4ના હતા. એટલે કે તેના પરથી સાબીત થાય છે કે ઉચ્ચ અધિકારીઓ કરતા ક્લાસ-4ના કર્મચારી વધારે પ્રમાણીક છે.