ગાંધીનગરમાં દીપડા બાદ જંગલી બિલાડીએ તંત્રને દોડાવ્યું
ગાંધીનગરમાં એક દીપડો પાંજરે પુરાયા બાદ બીજો દીપડો પણ આવ્યો હોવાની અફવાના કારણે વન વિભાગ દ્વારા પાટનગરમાં 14 લાખ ચોરસ મીટર જેટલો વિસ્તાર ખૂંદી નાખવામાં આવ્યો હતો. પરંતુ જીઈબી પાસે દીપડાના બદલે જંગલી બિલાડી હોવાનું વન વિભાગે કહ્યું છે.
ગાંધીનગરમાં બે દિપડા આવ્યાં હોવાની અફવાનાં પગલે CCTV ફૂટેજનો સહારો લેવામાં આવ્યો હતો. જેનાં આધારે ગાંધીનગરના થર્મલ પાવર પાસે આવેલા એક બોર નજીક દીપડા જેવું કોઈ પ્રાણી દેખાયું હતું. જેની સધન તપાસના અંતે વન વિભાગે કહ્યું છે કે, આ પ્રાણી દીપડો નથી પરંતુ જંગલી બિલાડી છે
. ગાંધીનગરમાં નવા સચિવાલયમાં ઘૂસેલો દીપડો પુનિત ધામ પાસે પાંજરે પૂરાયો હતો. આ દીપડો પાંજરે પૂરાયા છતાં પાટનગરમાં બીજો દીપડો પણ હોવાની અફવા જોરશોરથી ચાલુ રહી હતી. જેના કારણે વનવિભાગ દ્વારા એક જ દિવસમાં પાટનગરમાં 14 લાખ ચોરસમીટર વિસ્તારને ખૂંદી કાઢવામાં આવ્યો હતો. જેમાં કંઈ હાથ નહીં લાગતાં વન વિભાગ દ્વારા આ સર્ચ ઓપરેશન પૂરું થયું હોવાનું જાહેર કરાયું હતું.