ગાંધીનગરમાં તસ્કરોનો તરખાટ: બંધ મકાનના તાળા તોડી મતાની ઉઠાંતરી
ગાંધીનગર: શહેરમાં છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરીના બનાવોમાં સતત વધારો નોંધાઈ રહયો છે ત્યારે ગઈરાત્રીએ તસ્કરોએ સે-ર૭માં બે બંધ મકાન અને એક દુકાનને નિશાન બનાવી હતી ત્યારે વાવોલમાં પણ જવેલર્સ સહિત ત્રણ દુકાનોના તાળાં તોડયા હતા. જો કે આ સંદર્ભે પોલીસ ફરિયાદો નોંધાઈ નથી પરંતુ પોલીસે તસ્કરોને પકડી પાડવા માટે દોડધામ શરૃ કરી છે. ગાંધીનગરમાં વધતી જતી ઘરફોડ ચોરીના કારણે પોલીસના રાત્રી પેટ્રોલીંગ ઉપર પણ પ્રશ્નાર્થ સર્જાયો છે.
ગાંધીનગર શહેરમાં આમ તો શિયાળાની ઋતુ દરમ્યાન ઘરફોડ ચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળતો હોય છે ત્યારે હવે તસ્કરો ગમે તે સીઝનમાં ઘરફોડ ચોરી કરવામાં સફળ થઈ રહયા છે. શહેરમાં વધેલી ઘરફોડ ચોરીના કારણે સેકટરોમાં પોલીસ ચોકીઓ કાર્યરત કરવામાં આવી હતી અને શહેરના પ્રવેશદ્વાર અને બહાર જતા માર્ગો ઉપર તંબુચોકી ઉભી કરવામાં આવી હતી તેમ છતાં ઘરફોડ ચોરીના બનાવો અટકવાનું નામ લેતાં નથી. ગઈરાત્રીએ તસ્કરોએ શહેરના સે-ર૭માં આવેલી એકતા સોસાયટી અને સ્વસ્તિક સોસાયટીના બે બંધ મકાનો અને એક પાર્લરમાં હાથ સાફ કર્યો હતો.