સુરતના સરથાણા જકાતનાકા પાસે રસ્તો ઓળંગતા યુવાનનું સીટી બસની હડફેટે કમકમાટી ભર્યા મોતથી લોકોએ પથ્થરમારો કર્યો
સુરતઃ સરથાણા જકાતનાકા ખાતે બીઆરટીએસ રૂટ ક્રોસ કરી રહેલા યુવકનું સિટી બસની અડફેટે મોત નીપજ્યું હતું. યુવકના મોતના પગલે ઉશ્કેરાયેલા લોકોએ બસ પર પથ્થરમારો કર્યો હતો. જો કે, પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો શાંત કરાવ્યો હતો. અને વધુ તપાસ હાથ ધરી છે.
હીરાબાગ ડોક્ટર હાઉસ બ્રીજ નીચે રહેતાં ભટકતું જીવન જીવતા ભાવેશ હરેશ દેવીપૂજક નામના યુવકને તાવ આવતો હતો. અને દવાખાને જવા માટે સરથાણા બીઆરટીએસ રૂટ ક્રોસ કરી રહ્યો હતો એ દરમિયાન સિટી બસની અડફેટે યુવક આવી જતાં મોત નીપજ્યું હતું. એક્સિડન્ટ બાદ લોકોના ટોળા ઉશ્કેરાઈ ગયા હતાં અને પથ્થરમારો કર્યો હતો. બસ સળગાવવાની વાતો થઈ રહી હતી એ દરમિયાન પોલીસ પહોંચી જતાં મામલો શાંત કરાવી વધુ તપાસ હાથ ધરી હતી. એક્સિડન્ટ બાદ ઘટના સ્થળે પહોંચેલી 108ની ટીમે યુવકને મૃત જાહેર કરતાં શબવાહીની દ્વારા પીએમ માટે હોસ્પિટલમાં યુવકનો મૃતદેહ ખસેડાયો હતો.