કપડવંજ તાલુકાના સૂકી વઘાસમાં અનાજ દળતી વેળાએ મહિલાનું કરંટથી મોત
કપડવંજ: તાલુકાના સૂકી(વઘાસ)માં આજે સવારે મહિલા ઘરઘંટીમાં અનાજ દળતી હતી ત્યારે અચાનક વીજ કરંટ લાગતા ગૃહિણીનું મોત નીપજ્યું હતું.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ કપડવંજ તાલુકાના વઘાસ નજીક આવેલ સૂકી ગામે રહેતા કૈલાસબેન અશોકભાઈ પટેલ આજે સવારે ચા-નાસ્તો કર્યા બાદ ઘરઘંટી ચાલુ કરી અનાજ દળતી હતી ત્યારે અચાનક ડાબા હાથની હથેળીમાં વીજ કરંટ લાગતા કૈલાસબેન બેભાન થઈ ઢળી પડ્યા હતા. જેની જાણ થતા પરિવારજનોએ દોડી આવી કૈલાસબેનને તુરંત જ ખાનગી વાહનમાં કાવટ લઈ ગયા હતા. ત્યાંથી ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર માટે બાયડ ખાનગી હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના તબીબે કૈલાસબેન (ઉંમર ૪૦ વર્ષ)ને મૃત જાહેર કર્યા હતા.
આ બનાવ અંગે નટવરભાઈ કાળીદાસ પટેલે જાણ કરતા કપડવંજ રૂરલ પોલીસે અકસ્માત મોતની નોંધ કરી છે.