નડિયાદમાં ગર્ભવતી પરિણીતાની છેડતી કરનાર બે યુવકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ
નડિયાદ: શહેરમાં લુખ્ખા અને અસામાજિક તત્વોની હેરાનગતિ દિવસેને દિવસે વધી રહી છે. જેનો તાજો દાખલો ગઇકાલ સાંજના સુમારે શહેરના છાટીયાવાડ લિમડી વિસ્તારમાં જોવા મળ્યો હતો. આ વિસ્તારમાં રહેતી એક પરિણીતા તેના ઘરની બહાર પાણીપુરી ખાઇ રહી હતી. તે સમયે રીક્ષા લઇને આવેલા મુસ્લિમ યુવકે તેની છેડતી કરી હતી. જે બાદ પરિણીતાના પતિ દ્વારા યુવકને ઠપકો આપવાનો પ્રયાસ કરતા બે યુવકોએ ભેગા મળી પરિણીતાના પતિ અને પરિણીતાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર ઘટના બાબતે નડિયાદ પોલીસે ફરિયાદ દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના છાટીયાવાડ લિમડી વિસ્તારમાં રહેતી માધુરી (નામ બદલેલ છે) પોતાના પતિ તેમજ દીકરા સાથે રહે છે. ગત તા.૧૪મેના રોજ સાંજના સમયે તેઓ પોતાના ઘરની બહાર પાણી પુરી ખાઇ રહ્યા હતા. તે દરમ્યાન શાકીર ઉર્ફે ભોપો પોતાની રીક્ષા લઇ ત્યાથી નિકળ્યો હતો. છેલ્લા દોઢેક મહિનાથી શાકીર માધુરીને હેરાન પરેસાન કરી રહ્યો હતો, ઉપરાંત જયારે માધુરી પાણીપુરી ખાઇ રહી હતી તે સમયે સ્થળ પર આવી ચઢેલ શાકીરેે પાણીપુરી વાળાને કહ્યુ હતુ કે ‘આ તારી ભાભી થાય છે, પાણીપુરી બરાબર ખવડાવજે’ જે વાત સાંભળી માધુરી સ્તબ્ધ થઇ ગઇ હતી. જે બાદ સાંજના સમયે જ્યારે દંપતી પોતાના ઘરની બહાર બેઠુ હતુ તે સમયે પણ શાકીર અને અરબાજ મીર્જા બંને ત્યાથી પસાર થતા, માધુરીએ સમગ્ર હકીકત પોતાના પતિને જણાવી હતી. આ વાત જાણતા જ માધુરીના પતિએ શાકીરને ઊભો રાખી ઠપકો આપ્યો હતો. જેથી ગુસ્સે ભરાયેલા શાકીરે માધુરીના પતિને ગાળો બોલી તેની સાથે મારામારી કરી હતી, અને અરબાજે શાકીરને ઉશ્કેરણી કરી બંને જણાએ ભેગા મળી માધુરી અને તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાબતે આજરોજ માધુરીએ નડિયાદ પોલીસ મથકે ફરિયાદ આપતા નડિયાદ પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.