ગુજરાત
News of Wednesday, 16th May 2018

બનાસકાંઠામાં દરબાર સમાજ દ્વારા બે દલિત અનાથ યુવતિના લગ્ન કરાવીને સર્વ સમભાવનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું

અમદાવાદઃ બનાસકાંઠામાં દરબાર સમાજ દ્વારા દલિત પરિવારની બે અનાથ દિકરીઓના ધામધૂમથી લગ્ન કરાવીને સર્વ સમભાવનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પડાયુ છે.

એકબાજુ રાજ્ય અને દેશમાં દલિતો પર અત્યાચાર બાબતે અહેવાલો આવી રહ્યા છે. જેને લઈને વિરોધ પક્ષો દ્વારા સરકારને દલિત વિરોધીગણાવી માછલા ધોવાઈ રહ્યા છે. ખાસ કરીને ગુજરાતના અંતરીયાળ ગામડાઓમાંથી આવતા અહેવાલો મુજબ મુછો રાખવા, લગ્નમાં ઘોડા પર બેસી જાન કાઢવી જેવી બાબતે દરબાર અને દલિત વચ્ચે વૈમનસ્ય સર્જાઈ રહ્યું છે ત્યારે બનાસકાંઠાના એક ગામના દરબારોએ બે અનાથ દલિત બહેનો પાર્વતી સોલંકી અને જાગૃતિ સોલંકીના લગ્ન કરાવી સમાજમાં સૌહાર્દતા અને સર્વસમભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ઇંદ્રાણા ગામની બહેનો  પાર્વતી સોલંકી અને જાગૃતિ સોલંકી અનાથ હોવાથી ગામના જ દરબાર સમાજના 40 જેટલા વ્યક્તિઓએ મળીને રુ. 50000નું ફંડ એકઠું કર્યું અને 12 મેના રોજ ધામધૂમથી બંને કન્યાઓના લગ્ન કરાવ્યા હતા. આ ઘટના દ્વારા જાતીવાદી અને ભાગલાવાદી માનસિકતા ધરાવતા લોકો માટે એક શિખ છે. જ્યારે 2001થી 2017 સુધીમાં રાજ્યમાં જ્યાં સૌથી વધુ એટ્રોસિટીના કેસ(1792) નોંધાયા છે તેવા બનાસકાંઠામાં બનેલી આ ઘટના માનવતાની સુવાસ ફેલાવે છે.

મહત્વપૂર્ણ છે કે આ એજ જિલ્લો છે જ્યાં ગત સપ્તાહમાં દરબાર જ્ઞાતિના કેટલાક વ્યક્તિઓએ દલિત પરિવારને લગ્નની કંકોતરીમાં વરરાજાના ભત્રિજાના નામ પાછળ સિંહ લગાડ્યું હોવાથી ડરાવ્યા અને ધમકાવ્યા હતા. જેથી લગ્ન પોલીસની રક્ષા વચ્ચે કરવા પડ્યા હતા.

દલિત કન્યાઓના લગ્ન કરાવનાર દરબાર ગ્રુપના કિસ્મતિસિંહ વાઘેલાએ કહ્યું કે, ‘તેમના ગ્રુપમાં જુદા જુદા તબક્કાના અનેક વ્યક્તિઓ જોડાયેલ છે જેમાં ખેત મજૂરથી લઈને દુકાનદાર અને નોકરીયાત દરેક વ્યક્તિ છે. આ દરેક વ્યક્તિઓએ બંને દીકરીઓ તેમના જીવનમાં સ્થાયી થાય તે માટે પ્રયાસ કર્યા હતા. અમે આ બંને અનાથ દીકરીઓના જીવનમાં આનંદ લાવવા માગતા હતા જેથી કરીને જાતી, ઉચ્ચનિચ્ચ અને કોમ્યુનિટીના ભેદભાવ વગર આ લગ્ન યોજ્યા હતા.

વાઘેલાએ વધુમાં જણાવ્યું કે, ‘તેમના ગામમાં આ પહેલો પ્રયાસ હતો કે જેમાં તમામ જ્ઞાતિ અને વર્ણોના લોકો સાથે આવ્યા હતા. અમે બધા લોકો નિમ્ન મધ્યમ વર્ગમાંથી આવીએ છીએ અને અમારામાંથી કોઈ જાતિ-જ્ઞાતિના ભેદભાવમાં માનતું નથી. તેમજ લોકોને પણ આ ભેદભાવથી ઉપર ઉઠવાની પ્રેરણા મળે તે માટે આવા કામ હજુ પણ કરતા રહીશું.

આ અંગે હર્ષાશ્રુ સાથે પાર્વતી(19)એ કહ્યું કે, ‘અમે ત્રણ ભાઈ-બહેન હતા. જેમાં હું સૌથી મોટી હતી. જ્યારે હું ખૂબ જ નાની હતી ત્યારે મારા પપ્પાનું અવસાન થયું હતું જે બાદ થોડા વર્ષો પહેલા મારી માતાનું પણ અવસાન થયું હતું. ખૂબ નાની ઉંમરમાં મારી પર બંને નાના ભાઈ-બહેનની જવાબાદારી હોવાથી ખેતરમાં કામ કરવાનું શરુ કરી દીધું હતું. મને તો આશા જ નહોતી કે મારા લગ્ન થશે અને તે પણ આટલી ધામધૂમથી. પરંતુ મારા દરબાર ભાઈઓના કારણે આજે હું એક સારા વ્યક્તિ સાથે નવું જીવન શરુ કરીશ.

(7:33 pm IST)