DGP શિવાનંદ ઝા નો આદેશ - રાજ્યમાં પોલીસ સ્ટેશનોમાં કરવામાં આવતી બેનામી અરજીઓની તપાસ નહી થાય - આવી અરજીઓ હવે ફાઈલ કરી દેવાશે
અમદાવાદ: ગુજરાત રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ એક મહત્વના આદેશમાં જણાવ્યું છે કે કોઈ પણ નામ વગર બેનામી રીતે કરવામાં આવતી અરજીઓની પોલીસ તપાસ હાથ ધરવામાં આવશે નહીં. નામ વગરની અરજીઓ ફાઈલ કરી દેવામાં આવશે. ડીજીપી કચેરી દ્વારા જારી કરવામાં આવેલા એક પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આવી નામ વગરની અરજીઓ બિનજરૂરી રીતે હેરાન પરેશાન કરવા માટે કરાતી હોય છે.
રાજ્ય ડીજીપી કચેરી દ્વારા આ અંગે એક મહત્વનો પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. જેમાં પોલીસવડા શિવાનંદ ઝાએ આદેશ આપ્યો છે કે બેનામી અરજીઓની પોલીસ તપાસ થશે નહીં. આવી અરજીઓ હેરાનગતિ માટે થતી હોય છે અને આવા કેસમાં માત્ર સરકારી કર્મચારીઓને લાભથી વંછિત રાખવાના જ કારસ્તાન હોય છે. આ પ્રકારની બેનામી અરજીઓમાં તપાસ ન કરવાનો નિયમ છે પરંતુ આમ છતાં આવા કેસોમાં તપાસ થતી હોય છે. ત્યારે આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને હવે પોલીસવડાએ આવી અરજીઓ પર કોઈ પોલીસ તપાસ ન કરાવવાની જાહેરાત કરી છે. આ પ્રકારની અરજીઓ હવે ફાઈલ કરી દેવાશે.