નવી વાસાણીના ખેડૂત, બટાટાના વેપારીએ દવા પી જીવન ટૂંકાવી દેતાં ચકચાર
બાયડ:બાયડ તાલુકાના નવીવાસણીના ખેડૂત, બટાટાના વેપારી નંદુભાઈ મંગળભાઈ પટેલે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું.
જિલ્લામાં બટાટા પકવતા અને બટાટા બિયારણનો ધંધો કરનારા ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે. સતત બટાટામાં ભાવ ઘટવાની સાથે લેવાવલી ઉભી થઈ નથી જેના કારણે અનેક ખેડૂતો દેવાદાર બની ગયા છે. બાયડ તાલુકાના નવીવાસણીના ખેડૂત નંદુભાઈ પટેલે કોઈપણ કારણોસર ઝેરી દવા પી લેતાં સારવાર અર્થે બાયડ અને ત્યારબાદ તબિયત વધુ લથળતાં સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું.
આંબલિયારા પોલીસને જાણ કરાતાં પોલીસ દ્વારા ઈન્કવેસ્ટ ભરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે જીતપુર સામૂહીક કેન્દ્રમાં મોકલવામાં આવ્યો હતો પરંતુ ફરજ પરના મેડીકલ ઓફીસરે હું કોઈપણ સંજોગોમાં પોસ્ટમોર્ટમ નહીં કરૃં તેમ કહેતાં મામલો બિચક્યો હતો. આરોગ્ય વિભાગના અધિકારી જીતપુર પહોંચી મામલાને થાળે પાડયો હતો. લોકમુખે ચર્ચાતી વિગત મુજબ નંદુભાઈ પટેલની આર્થિક સ્થિતિ સારી હોવા છતાં તેઓએ વિષપાન કેમ કર્યું..??
તેને લઈને સમગ્ર પરિવાર સ્તબ્ધ બની ગયો છે. હાલ તો પોલીસ દ્વારા એડી નોંધી ધોરણસરની તપાસ હાથ ધરવામાં આવી છે. તેમ જાણવા મળ્યું છે.