ગુજરાત
News of Saturday, 13th January 2018

સ્વામીનારાયણ ગુરૂકુલમાં સાંસ્કૃતિક કાર્યક્રમોઃ૪૫૦ વિદ્યાર્થીઓએ માતા-પિતાની પૂજા કરી

અમદાવાદ : શ્રી સ્વામીનારાયણ ગુરૂકુલ મેમનગર, અમદાવાદ ખાતે શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી અને પુરાણી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામીના પાવન સાનિધ્યમાં શાળાના આચાર્યશ્રી સૂર્યકાંતભાઈ પટેલની આગેવાની નીચે ધો.૯થી કોલેજ સુધીના ૪૫૦ વિદ્યાર્થીઓના માતા-પિતાની ઉપસ્થિતીમાં બાળકોના અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે માતૃ-પિતૃ વંદનાનો અનોખો અને પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભુદેવ કૌશિકભાઈ દ્વારા મંગળ વેદગાન સાથે, તમામ ૪૫૦ બાળકોએ પોતાના માતા-પિતા સમક્ષ પૂજાપાના સામાન સાથે સામે બેસી, માતાપિતાના ચરણ ધોઈ, તેનું આચમન કર્યા બાદ ભાલે ચંદનથી અર્ચા કરી પૂજન કરેલ. ત્યારબાદ બાળકોએ માતા-પિતાની આરતી ઉતારી, પ્રદક્ષિણા કરી દંડવત પ્રણામ કર્યા ત્યારે ખરેખર આ દૃશ્ય અદ્ભુત અને ભાવવાહી હતું. આ પ્રસંગે માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, ભારતના તમામ ધર્મો માતા-પિતા પ્રત્યે આદરભાવ શીખવાડે છે. આપણા વેદો પણ માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવ માતા-પિતાને દેવ માની તેના પ્રત્યે આદરભાવ રાખવાનું કહે છે. આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના જજ શ્રી ઢોલરીયા, અમેરીકાથી જય ઘડુક, શ્રેષ્ઠી ચીમનભાઈ અગ્રવાલ, ગીરીશભાઈ ડોબરીયા, અરવિંદભાઈ ઠુમ્મર, દકુભાઈ કસવાળા, વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

(12:57 pm IST)