અમદાવાદમાં કોરોના વિસ્ફોટ : શહેરમાં નવા 305 કેસ નોંધાયા : 22મી જૂન બાદ સૌથી વધુ કેસ: 17 વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર
અમદાવાદ કોર્પોરેશનમાં 305 કેસો અને ગ્રામ્યમાં 22 કેસો નોંધાયા
અમદાવાદ : દિવાળી પછી શહેરમાં કોરોના વિસ્ફોટ થયો છે આજે જાહેર થયેલા આંકડા મુજબ અમદાવાદ કોર્પોરેશનમાં 305 નવા કોરોના કેસ નોંધાયા છે અને આ દરમિયાન 3 લોકોનાં મોત થયા છે. 22 જૂન પછી આજે સૌથી કોરોનાના કેસ નોંધાયા છે. અગાઉ 22 જૂનના રોજ 314 કેસ નોંધાયા હતા. આમ પાંચ મહિના પછી ફરીથી અમદાવાદમાં કોરોના ના કેસ નો આંકડો 300 પાર કરી ગયો છે. આ ઉપરાંત અમદાવાદમાં વધુ 17 વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે. કોરોનાના ડામવા રાજ્ય સરકાર આકરા પગલા લઇ રહી છે. જેના ભાગરૂપે અમદાવાદમાં શુક્રવાર રાત્રે 9થી સોમવારે સવારે 6 કલાક સુધી કર્ફ્યુ લાદ્યુ છે.
અમદાવાદ વાસીઓએ દિવાળીમાં કરેલી ભૂલ ભારે પડી રહી છે. શહેરમાં પ્રત્યેક દિવસ કોરોનાના કેસોમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. આજે જાહેર થયેલા કોરોનાના આંકડાએ તંત્ર તથા લોકોની ચિંતામાં વધારો કર્યો છે. શુક્રવારે અમદાવાદ કોર્પોરેશનમાં 305 કેસો નોંધાયા છે જ્યારે અમદાવાદ ગામમાં 22 કેસો નોંધાયા છે એટલે અમદાવાદ જિલ્લામાં કુલ 327 કોરોના કેસ નોંધાયા છે. તેની સાથે અમદાવાદ જિલ્લામાં કુલ 46,595 કોરોના કેસ થઇ ચુક્યા છે અને 1,955 લોકોના મોત થયા છે. Corona Update
અમદાવાદમાં કોરોનાના કેસો વધતા કન્ટેન્મેન્ટ ઝોનમાં પણ વધારો થયો છે. અમદાવાદ મ્યુનિસિપ કોર્પોરેશન દ્વારા શુક્રવારના રોજ 17 વિસ્તારને માઇક્રોકન્ટેન્મેન્ટ ઝોનમાં મુકાયા છે. જ્યારે 6 વિસ્તારને દૂર કરાયા છે. હવે શહેરમાં માઇક્રોકન્ટેન્ટ વિસ્તારનો આંકડો 105 પર પહોંચ્યો છે