ગુજરાત
News of Friday, 20th November 2020

તઘલખી શાસકોના નિર્ણયનો ભોગ પ્રજા બની : સરકારની બિન આવડતના લીધે અમદાવાદમાં ફરી કોરોનાનો ચક્રવ્યૂહ ફસાયું

અમદાવાદમાં57 કલાકનો કરફ્યૂના અચાનક નિર્ણય સામે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સવાલ ઉઠાવ્યા

અમદાવાદમાં કોરોનાના કેસ વધતા 57 કલાકનો કરફ્યૂ લાદવામાં આવ્યો છે. અચાનક સરકારના નિર્ણય સામે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સવાલ ઉઠાવ્યા છે.

  કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ અમદાવાદમાં અચાનક કરફ્યૂ લાદવામાં આવતા સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા. ઇમરાન ખેડાવાલાએ ટ્વીટ કરીને કહ્યુ કે, “રાજ્ય સરકારની બિન આવડતના લીધે અમદાવાદ શહેરમાં ફરી કોરોનાનો ચક્રવ્યૂહ જોવા મળી રહ્યો છે. સરકાર પોતાની નિષ્ફળતા અને આંકડા છુપાવી લોકોને અંધારામાં રાખ્યા અને આજે ફરી અમદાવાદ ભગવાન ભરોસે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા દોડ્યુ છે. તઘલખી શાસકોના નિર્ણયનો ભોગ પ્રજા બની રહી છે

  ડૉક્ટરોએ દિવાળીના તહેવાર દરમિયાન પીક આવવાની દહેશત વ્યક્ત કરી હતી પણ તેની પર ગંભીરતાથી ધ્યાન આપવામાં આવ્યુ નહતું. દિવાળીના તહેવારો દરમિયાન બજારોમાં પણ સાવચેતી વગર લોકોની ભારે ભીડ જોવા મળતી હતી. દિવાળીની ખરીદીની ભીડ ત્રણ દરવાજા અને ભદ્ર પાથરણા બજારમાં જામી હતી તેટલી જ ભીડ તમામ વિસ્તારમાં જોવા મળતી હતી. પાણીપુરીથી લઇને ફૂડ પાર્લરો, ચા-કોફીની દુકાનો અને પાનના ગલ્લાઓ ફરી ધમધમતા થયા હતા.

(11:39 am IST)