વડોદરામાં ડેન્ગ્યુથી વધુ બે લોકોના મોત : પાંચ દિવસમાં મૃત્યુઆંક 7 ઉપર પહોંચ્યો
છેલ્લા બે મહિનામાં ડેન્ગ્યુએ કહેર વર્તાવ્યો
વડોદરા :શહેરમાં ડેન્ગ્યુની બીમારીથી વધુ બે લોકોના મોત નીપજ્યા છે, 5 દિવસમાં 7 લોકો ડેન્ગ્યુને કારણે મોતને ભેટ્યા છે. વડોદરા નજીક આવેલા નંદેસરી ગામમાં રહેતા મહેન્દ્ર લાલુભાઇ મીના ( ઉ,વ, 25 ) ને ગત 14 નવેમ્બરે તાવ આવતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન ડેન્ગ્યુની બીમારીથી મોત નીપજ્યું હતુ. આ ઉપરાંત છાણીની ખાનગી હોસ્પિટલમાં અટલાદરા વિસ્તારની 23 વર્ષીય મહિલાનું ડેન્ગ્યુને કારણે મોત નીપજ્યું છે.
વડોદરા શહેરમાં છેલ્લા 2 મહિનાથી ડેન્ગ્યુની બીમારી બેકાબુ બની રહી છે. વડોદરામાં ઓક્ટોબર મહિનામાં 1039 શંકાસ્પદ કેસો નોંધાયા હતા. જેમાંથી 398 ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે નવેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં 822 શંકાસ્પદ કેસો આવ્યા છે. જેમાંથી 280 ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં વડોદરા શહેરમાં 4750 ડેન્ગ્યુના શંકાસ્પદ કેસો નોંધાયા છે. જેમાંથી 919 ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા છે.