ગુજરાત
News of Wednesday, 20th November 2019

અમદાવાદમાં ગુજરાત કોલેજની હોસ્ટેલમાં મૂળ સુરેન્દ્રનગરના વિદ્યાર્થી વિરમ ભાટીયાનો આપઘાત

એક દિવસ પહેલા જ પરીક્ષા આપવા માટે આવ્યો હોવાનું ખુલ્યું

અમદાવાદ: શહેરની ગુજરાત કોલેજની હોસ્ટેલમાં એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે  આ વિદ્યાર્થીએ કયા કારણોસર આપઘાત કર્યો છે તે બાબતને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. વિદ્યાર્થીએ આપઘાત કર્યો તેના એક દિવસ પહેલા જ તે પરીક્ષા આપવા માટે આવ્યો હોવાની માહિતી પણ પોલીસને મળી છે.

 આ અંગે મળતી વિગત મુજબ એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી ગુજરાત કોલેજની હોસ્ટેલમાં એક યુવકે આપઘાત કર્યો હોવાનો મેસેજ મળતા જ એલિસબ્રિજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે તપાસ કરતા મૃતક વિદ્યાર્થીનું નામ વિરમ ભાટિયા હોવાનું સામે આવ્યું હતું. વિરમ આપઘાતના એક દિવસ પહેલા જ પરીક્ષા આપવા માટે આવ્યો હોવાનું માલુમ પડ્યું છે.

  આપઘાત કરી લેનાર 19 વર્ષીય યુવક મૂળ સુરેન્દ્રનગર શહેરનો હોવાનું સામે આવ્યું છે. વિરમ હોસ્ટેલમાં કાયદેસર રૂમ રાખીને રહ્યો હતો. વિરમે અન્ય વિદ્યાર્થીઓ હાજર હતા ત્યારે જ આપઘાત કરી લીધો હતો. આ મામલે પોલીસે જણાવ્યું છે કે હાલ વિરમની લાશને પીએમ માટે ખસેડવામાં આવી છે. વિદ્યાર્થીએ પરીક્ષાના ભાર કે કોઈ અન્ય કારણથી આપઘાત કર્યો છે તે મામલે તપાસ કરવામાં આવી રહી છે.

(12:20 pm IST)