નિત્યાનંદ આશ્રમ વિવાદ બાદ હવેથી બાળકોને રાખતા આશ્રમ કે સંસ્થામાં આકસ્મિક તપાસ કરાશે : જિલ્લા કલેકટરનો આદેશ
જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મારફત રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરી રાજ્ય સરકારનું સર્ટિફિકેટ મેળવવું પડશે
અમદાવાદના નિત્યાનંદ આશ્રમની નોંધણી સહિતની બાબતે કલેકટર તંત્ર અજાણ હોવાના અહેવાલ બાદ તંત્ર જાગ્યુ છે. અને જિલ્લા કલેકટરે જે બાળકોને સંસ્થા કે આશ્રમમાં રાખવામાં આવતા હશે. તે આશ્રમો કે સંસ્થામાં આકસ્મિક તપાસ કરાશે તેવો આદેશ કર્યો છે.
આશ્રમો અને બાળકોને સંભાળતી સંસ્થાઓમાં બાળકોને કઈ સ્થિતિમાં રાખવામાં આવે છે. તે અંગે તપાસના કલેકટર વિક્રાંત પાંડેએ આદેશ આપ્યા છે. હિરાપુર સ્થિત નિત્યાનંદ આશ્રમના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ન થઈ હોવાના અહેવાલ બાદ કલેકટર તંત્ર સફાળુ જાગ્યુ છે..અને જે સંસ્થા કે આશ્રમ બાળકોને રાખે છે. તેઓએ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મારફત રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરી રાજ્ય સરકારનું સર્ટિફિકેટ મેળવવું પડશે.
આ સિવાય જો કોઈ સંસ્થા કે આશ્રમ લાયસન્સ વિના કાળજી અને રક્ષણ વાળા બાળકો રાખતી હશે તો ત્યાંથી તાત્કાલિક બાળકોને રેસ્ક્યુ કરી સંસ્થા વિરુદ્ધ ગુન્હો નોંધાશે. જસ્ટીસ જુવેનાઈલ એક્ટ 2015ની કલમ 42 મુજબ સંસ્થા વિરુદ્ધ એક વર્ષની સજા અને ઓછામાં ઓછો એક લાખ રૂપિયા દંડ અથવા બંને થઈ શકે છે. આશ્રમ કે સંસ્થા પાસે લાયસન્સ બાબતે અલગ અલગ ટીમો બનાવીની સઘન તપાસ હાથ ધરાશે. અને જો કોઈ સંસ્થા લાયસન્સ વગરની જણાશે તો તાત્કાલીક કાર્યવાહી હાથ ધરાશે તેમ પણ કલેકટરે આદેશમાં જણાવ્યું છે.