રાધનપુર તાલુકામાં એક જ દિવસમાં નર્મદા યોજનાની બે કેનાલો તૂટી : ખેડૂતોને નુકશાનથી વ્યાપક અસંતોષ
રાધનપુર તાલુકામાં નર્મદા યોજનાની કેનાલોમાં પાણી છોડતા જ તૂટી જાય છે,જેના કારણે ખેડૂતોને મોટું નુકશાન થઇ રહ્યું છે,વહેલી સવારે ચાર વાગ્યાના સુમારે તાલુકાના દેલાણા ગામની સીમમાંથી નીકળતી દેલાણા-ગોખાન્તર માયનોર કેનાલમાં પાણી છોડતા હાલકી કક્ષાની કેનાલમાં ગાબડું પડ્યું હતું અને ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોનો લાખો રૂપિયાનો જીરાનો પાક ખેદાન-મેદાન થઇ જવા પામ્યો હતો.
ગામના અગ્રણી ખોડાભાઈ આયરના જણાવ્યા મુજબ કેનાલ તૂટતાં તેમના કુટુંબીજનો વાલાભાઇ જહાભાઈ આયર, શંકરભાઇ કરશનભાઇ આયર અને જેસાભાઇ કરશનભાઇ આયરના ખેતરોમાં પાણી ઘુસી ગયા હતા,અને લગભગ દસ વીઘા જમીનમાં પિયત કરેલા જીરાના પાકમાં પાણી ફરી વળતા આશરે ચાર લાખ રૂપિયાનું નુકશાન થવા પામ્યું હતું.આ
ઉપરાંત ગામના જ એક અગ્રણીના જણાવ્યા મુજબ સોમવારે જ સવારે ગડસઈ માયનોર કેનાલમાં પણ ગાબડું પડ્યું હતું,જેના પાણી ખેતરોમાં ઘુસી જવા પામ્યા હતા. દેલાણા ગામના સરપંચ રામભાઈ આયરના જણાવ્યા મુજબ કેનાલોનું કામ સાવ હલાકી કક્ષાનું કરવામાં આવ્યું હોવાથી અવાર-નવાર કેનાલ તૂટી જાય છે.રીપેરીંગ કરવા છતાંય એક જ જગ્યાથી કેનાલ તૂટી જાય છે.