ગુજરાત
News of Sunday, 20th October 2019

ગુજરાતમાં ૩૧ લાખ ટનથી વધુ મગફળીનું ઉત્પાદન થશે

સારા વરસાદને કારણે મગફળીનું બમ્પર ઉત્પાદન *સૌરાષ્ટ્ર ઓઇલ મીલ એસોસિએશનની મહત્વની બેઠક મળી : સીંગતેલનું ઉત્પાદન વધતા ભાવો સ્થિર રહી શકે

અમદાવાદ, તા.૨૦ : સૌરાષ્ટ્ર ઓઇલ મીલ એસોસિએશનની આજે એક મહત્વની બેઠક મળી હતી. જેમાં આ વર્ષે મગફળીના પાકના ઉત્પાદનના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં આ વર્ષે ૩૧ લાખ ટન મગફળીના ઉત્પાદનનો અંદાજ છે. સારા વરસાદને કારણે મગફળીનું બમ્પર ઉત્પાદન થશે. તેમજ સીંગતેલનું ઉત્પાદન વધશે અને ભાવ અંગે ચર્ચા કરવામાં આવી હતી. એકબાજુ મગફળીના ઓપન હરાજીમાં દરરોજ ભાવ ઘટી રહ્યા છે. મગફળીના ઘટતા ભાવ વચ્ચે ઓઇલ મીલરો ભાવ અને પાકનો અંદાજ કાઢશે. રાજકોટ, ગોંડલ યાર્ડમાં મગફળીની બમ્પર આવકને લઇને ભાવ ઘટી રહ્યા છે. મગફળી પ્રથમવાર યાર્ડમાં આવી ત્યારે રૂ.૧૪૦૦થી ૧૫૦૦ ભાવ હતા. હાલ ખેડૂતોને રૂ.૮૦૦થી ૧૦૦૦ મળી રહ્યા છે. રાજકોટ અને ગોંડલ યાર્ડમાં દરરોજ ૪૦ હજાર ગુણી મગફળીની આવક છે. સરકાર દ્વારા ટેકાના ભાવે એક મણના રૂ.૧૦૧૮ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.

              આ અંગે સોમાના પ્રમુખ સમીર શાહે જણાવ્યું હતું કે, ગત વર્ષ કરતા ઉત્પાદન સારૂ થયું છે. પીવાના પાણી અને સિંચાઇનું પાણી પણ આવ્યું છે. રવિ પાક પણ સારો થશે. પામોલિન તેલની આયાત પર પાબંધી લાદવી જોઇએ. આ માટે સરકારને પણ આગામી દિવસોમાં રજૂઆત કરવામાં આવશે. મંદીના માહોલમાંથી ઉગરવા માટે સ્થાનિક ઉદ્યોગોને ફાયદો પહોંચે તે માટે સરકારે પ્રયત્નો કરવા જોઇએ. આયાત ઘટાડવામાં આવે તો ખેડૂતોને પણ ફાયદો થાય. એસોસીએશન તરફથી આ તમામ મુદ્દાઓ પરત્વે સરકારનું ધ્યાન દોરવામાં આવશે.

(9:48 pm IST)