ગુજરાત
News of Saturday, 20th October 2018

પ્રથમ ચરણ : એકતા યાત્રાને મળેલો વ્યાપક જન પ્રતિસાદ

એકતા યાત્રામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યોઃ મંત્રીમંડળના સભ્યો દ્વારા એકતા યાત્રાને પ્રસ્થાન કરાવાયું

અમદાવાદ,તા.૨૦ : સ્ટેચ્યુ ઓફ યુનિટી અંતર્ગત સરદાર સાહેબના એકતાના ભાવને જનજન સુધી પહોંચાડવા માટે રાજ્યભરાં પ્રથમ તબક્કામાં આજથી આરંભાયેલ એકતાયાત્રાને મંત્રીમંડળના સભ્યો સહિત સાંસદો, ધારાસભ્યો, વિવિધ પદાધિકારીઓ સહિતના અનેક મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રાને રાજ્યભરમાં જનપ્રતિસાદ સાંપડ્યો છે. એકતાયાત્રાના આ પ્રથમ તબક્કામાં ૫૦થી વધુ એકતારથ પાંચ હજારથી વધુ ગામોમાં પરિભ્રમ કરીને સરદાર સાહેબના એકતાના ભાવને તથા તેમના જીવન કવનને લોકો સુધી પહોંચાડવામાં અનેરૂ યોગદાન પુરૂ પાડશે. ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ વડોદરા શહર જિલ્લામાં એકતા રથયાત્રાના પ્રારંભ માટે ૩ સરદાર એકતા રથોને પ્રસ્થાન કરાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલ સર્વકાલીન યુગ પુરૂષ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની વિરાટતાની અનુભૂતી કરાવવા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની રૂપરેખા ઘડી હતી. હવે પ્રધાનમંત્રી તા.૩૧મી ઓકટોબર, ૨૦૧૮ના રોજ સરદાર સાહેબના રાષ્ટ્રીય સ્મારક સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવાના છે તેની અનુલક્ષી સરદાર સાહેબનો રાષ્ટ્રીય એકતાનો સંદેશ રાજ્યના ગામેગામ ફરવા એકતા રથનું આયોજન કરવામાં આવ્યું છે. કૃષિ મંત્રી આરસી ફળદુએ કહ્યું કે સરદાર પટેલે ૫૬૨ રજવાડાઓને એક કરીને અખંડ રાષ્ટ્રનું નિર્માણ કર્યું તેનું સ્મરણ વંદન કરતા સરદાર વલ્લભભાઈ પટેલની કુનેહ-મક્કમ મનોબળ અને સમજાવટથી બધા રજવાડાઓ ભારતમાં વિલીન થયા અને એક અખંડ ભારતનું નિર્માણ થયું છે. જામનગર ખાતેથી એકતાયાત્રાને પ્રસ્થાન કરાવ્યા બાદ ફળદુએ કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન-ઈતિહાસ દુનિયા જાણે તથા આજની પેઢી સરદાર પટેલના જીવન આદર્શોથી પરિચિય થાય તે માટે એકતા યાત્રા સક્ષમ માધ્યમ બનશે. સરદાર વલ્લભભાઈ પટેલના સમગ્ર જીવન દરમિયાન વિવિધ સત્યાગ્રહો, કુદરતી આફતોમાં તેમણે કરેલી રચનાત્મક પ્રવૃત્તિઓ, દેશી રજવાડાઓનું વિલીનીકરણ સમાજની નવરચના બંધારણનું ઘડતર વગેરે જેવા વિવિધ પ્રસંગોમાં સરદાર પટેલની અસરકારક નેતૃત્વશૈલીના દર્શન થાય છે.

(9:50 pm IST)