ગોધરા પોલીસ મથકમાં ગૌમાંસનો આરોપીનો આપઘાત :પોલીસ ચોકી પર પથ્થરમારો : લઘુમતી સમાજમાં રોષ
કસ્ટડીમાં આત્હત્યાના કેસમાં પીએસઓને સસ્પેન્ડ કરાયા : પોલીસ ચોકી નં-2 પર પથ્થરમારો થતાં અમે સીસીટીવી કૂટેજ ચેક કરી રહ્યા છે. ફૂટેજના આધારે કાર્યવાહી કરીશું.: જિલ્લા પોલીસવડા
ગોધરાના બી-ડિવિઝન પોલીસ મથકમાં ગૌમાંસનો આરોપી કાસીમ અબ્દુલ્લા હયાતે પોલીસ કસ્ટડીમાં આત્મહત્યા કરી હતી, જેને લઇને લધુમતી સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. મૃતક કાસિમ હયાતનું પેનલ પીએમ વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું. બી-ડિવિઝન પોલીસ મથકના કસ્ટડીમાં આત્હત્યાના કેસમાં પીએસઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સમાજના અગ્રણીઓ અને વકીલની સલાહ લઇને પરિવારજનોઓ જવાબદારો સામે કાર્યવાહી કરવા લેખિતમાં રજૂઆત કર્યા બાદ મૃતક કાસિમના મૃતદેહને વડોદરાથી ગોધરા લઇને આવ્યા હતા.
મૃતક કાસિમ હયાતના જનાજા ગોન્દ્રો વિસ્તારમાંથી નીકળીને ચોકી નંબર 2 પાસેથી નીકળતાં જનાજામાં સામેલ અમુક લોકોએ પોલીસચોકી નંબર 2 પર પથ્થરમારો કર્યો હતો. બદોબસ્તમાં ગોઠવાયેલા બે પોલીસ કર્મીઓ જાન બચાવવા ચોકીના બીજે માળે જતા રહ્યા હતા. ટોળાં એને ચોકીની અંદર પથ્થરમારો કરીને નુકસાન કર્યું હતું. જનાજામાં સામેલ લોકોના પથ્થરમારાથી દોડધામથી મચી ગઇ હતી.
મૃતક કાસિમ હયાતના જનાજામાં હજારો લોકો જોડાયા હતા. અને કબ્રસ્તાનમાં દફનવિધિ કરવામાં આવી હતી. ચોકી નં-2 પર પથ્થરમારો થતાં જિલ્લા પોલીસવડા, ડીવાયએસપી સહિત પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. પોલીસે સીસીટીવી કૂટેજના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.
જનાજો ચોકી નં 2 પાસે આવતાં ફરજ પરના પોલીસકર્મીએ રોડ બંધ કર્યો હતો. જનાજામાં હજારો લોકો જોડાઇને રાની મસ્જિદ પાસેથી કબ્રસ્તાન જતા હતા. એ દરમિયાન કેટલાંક લોકોએ હાજર બે પોલીસકર્મીઓને નિશાન બનાવીને પથ્થરમારો કરતાં બંને પોલીસકર્મીઓ ચોકીના બીજા માળે જતાં રહ્યા હતા. લોકો પથ્થરમારો કરતાં દોડધામ મચી ગઇ હતી, જેને લઇને સોશિયલ મીડિયામાં અફવાએ જોર પકડયું હતું. પોલીસે પશ્ચિમ વિસ્તારમાં ચુસ્ત બદોબસ્ત ગોઠવી દીધો હતો.
મૃતક કાસીમની આત્મહત્યાથી લઘુમતી સમાજમાં રોષ ફેલાયો છે, જેથી અમદાવાદ અને વડોદરાના વિવિધ સંગઠનોએ પોલીસવડાને રજૂઆત કરી હતી, જેની ન્યાયિક તપાસ ચાલતી હોવાથી બી-ડિવિઝન પોલીસ મથકના પીઆઇને સસ્પેન્ડ કરવા અનુરોધ કર્યો હતો.