આણંદની અદાલતે 12 લાખના ચેક રિટર્નના કેસમાં વિદ્યાનગરના શખ્સને આરોપી ઠેરવી 2 વર્ષની સજાની સુનવણી કરી
આણંદ: શહેરની અદાલતે એક ૧૨ લાખના ચેક રીટર્ન કેસમાં માત્ર પાંચ જ માસની સુનાવણી દરમ્યાન વિદ્યાનગર ખાતે રહેતા આરોપીને તકશીરવાર ઠેરવીને ૨ વર્ષની સાદી કેદની સજા અને વળતર પેટે ચેકની ૧૨ લાખની રકમ ૬૦ દિવસની અંદર ચુકવવી નહીં તો વધુ ચાર માસની કેદની સજાનો હુકમ કરતાં ચકચાર મચી જવા પામી છે.
બાકરોલ-લાંભવેલ રોડ ઉપર આવેલી જલાસ્વામી સોસાયટીમાં રહેતા ફરિયાદી મેહુલભાઈ નાનુભાઈ ભરવાડે વિદ્યાનગરમાં હેમીલભાઈ ભાવીનભાઈ પટેલ સાથે ભાગીદારીમાં ખેતલા આપા ટી સ્ટોલના નામે ખાણી-પીણીની ભાગીદારીમાં હોટલ ચાલુ કરી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર મેહુલભાઈએ ૧૨ લાખ રૂપિયા હેમીલભાઈને હાથ ઉછીના આપ્યા હતા. જે પેટે તેઓએ ચેક આપ્યો હતો. પરંતુ ત્યારબાદ બન્ને વચ્ચે મતભેદો ઉભા થતાં ભાગીદારી છુટી પડી હતી અને ખેતલા આપા ટી સ્ટોલ પણ બંધ થઈ જવા પામ્યું હતુ. પોતાના ૧૨ લાખની મેહુલભાઈએ માંગણી કરી હતી પરંતુ હેમિલભાઈએ તે ચુકવી આપ્યા નહોતા જેથી મેહુલભાઈએ ચેક ભરતા તે પરત ફર્યો હતો. જેથી કાયદાકીય પ્રક્રિયા હાથ ધર્યા બાદ આણંદની અદાલતમાં તારીખ ૨૨-૩-૧૯ના રોજ નેગોશ્યેબલ ઈન્સ્ટુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ મુજબ કેસ દાખલ કર્યો હતો.