આણંદના જુદા-જુદા વિસ્તારમાં સોનાની દુકાનમાં દાગીના ખરીદવાના બહાને આવેલ બે ગઠિયાએ 4.65 લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી રફુચક્કર
આણંદ:શહેરના જૂના રસ્તા ઉપર આવેલી એક સોનીની દુકાનમાં સોનાના દાગીના ખરીદવાના બહાને આવેલા બે ગઠિયાઓ દ્વારા ૪.૬૫ લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે ગઈકાલે રાત્રીના સુમારે શહેર પોલીસે ગુનો દાખલ કરીને સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર ફરિયાદી દિપકભાઈ હસ્તીમલભાઈ સોનીની શહેરના જૂના રસ્તા ઉપર આવેલા બાલુપુરાના ભાથીજી મંદિર સામેની ઈમ્પાલા બિલ્ડીંગ સામે પિતા હસ્તીમલભાઈ સોનીના નામે દુકાન આવેલી છે. જેમાં સોના-ચાંદીના દાગીનાનું લે-વેચ કરવામાં આવે છે. ગત ૮મી જુલાઈના રોજ બપોરના અઢી વાગ્યાના સુમારે બે શખ્સો તેમની દુકાને સોનાના દાગીના ખરીદવાના બહાને આવી ચઢ્યા હતા. જેઓએ દિપકભાઈની નજર ચુકવીને સોનાના દાગીના ભરેલી ચાર પ્લાસ્ટીકની ડબ્બીઓ કે જેમાં ૨૦૫ ગ્રામ સોનાના દાગીના હતા તે ચોરી કરી લીધા હતા અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. થોડીવાર બાદ દિપકભાઈને ખબર પડતાં તેમણે તપાસ હાથ ધરી હતી પરંતુ બન્ને શખ્સો ત્યાંથી ઓજલ થઈ જવા પામ્યા હતા. જેથી આજદિન સુધી તપાસ કરી હતી પરંતુ ના મળી આવતાં આખરે દિપકભાઈએ ગઈકાલે રાત્રીના સુમારે શહેર પોલીસ મથકે આવીને ફરિયાદ આપી હતી.