કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ રેપિડ એકશન ફોર્સના કાર્યક્રમમાં ગુજરાત આવશેઃ પૈતૃક ગામ માણસામાં બહુચર માતાજીની આરતીમાં હાજરી આપશે
અમદાવાદ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાત આવશે. આગામી 30 સપ્ટેમ્બરે અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી રેપિડ એક્શન ફોર્સના સ્થાપના દિવસના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે તો સાથે જ પોતાના પૈતૃક ગામ માણસાની મુલાકાત લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરના સાંસદ હોવાથી તેમનો ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ સતત બનતો રહે છે અને લગભગ દર મહિને તેઓ ગુજરાત આવ્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દર નવરાત્રિમાં પોતાના પૈતૃક ગામ માણસામાં બહુચર માતાજીની આરતીમાં હાજર રહે છે. આ વખતે પણ તેઓ નવરાત્રિ દરમિયાન આવી રહ્યા હોવાથી માણસા ખાતે તેઓ બહુચર માતાના મંદિરે આરતી કરશે, તો સાથે જ કેટલાક સરકારી કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી હોવાના કારણે તમામ સુરક્ષા એજન્સી તેમના વિભાગ અંતર્ગત આવે છે જેથી રેપિડ એક્શન ફોર્સના સ્થાપના દિવસના કાર્યક્રમમાં તેઓ મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે.
રેપિડ એક્શન ફોર્સના દેશમાં 15 કેન્દ્રો છે જેમાં અમદાવાદ પણ મહત્વનું કેન્દ્ર છે ત્યારે અમદાવાદ ખાતે 27 માં સ્થાપના દિવસની ઉજવણીમાં વાર્ષિક પરેડની સલામી ઝીલશે. રેપિડ એક્શન ફોર્સ દેશના સંવેદનશીલ અને રમખાણ ગ્રસ્ત વિસ્તારોમાં મહત્વની ફરજ બજાવે છે ત્યારે તેના જવાનોને મળી રહેલી સુવિધાઓ અને કામગીરીની સમિક્ષા પણ કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ. આમ તો રેપિડ એક્શન ફોર્સનો સ્થાપના દિવસ 7 ઓક્ટોબર છે પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રીનો અમદાવાદ પ્રવાસ પહેલેથી નિશ્ચિત હોવાથી 30 સપ્ટેમ્બરે આ ઉજવણી થશે અને તેમાં કેન્દ્રીય ગૃહમંત્રી હાજર રહેશે.
રાજકીય રીતે પણ કેન્દ્રીય ગૃહમંત્રીનો આ પ્રવાસ મહત્વનો બની રહેશે કારણ કે 7 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીઓની તારીખો જાહેર થયા બાદ નો આ પહેલો પ્રવાસ હશે એટલે ટીકીટોના દાવેદારોની મુલાકાત તથા રાજકીય સોગઠાબાજી પર પણ આ પ્રવાસમાં રહેશે. અમિત શાહના 30 સપ્ટેમ્બરના પ્રવાસ પહેલા કેન્દ્રીય ચૂંટણીપંચ 7 બેઠકો માટેની પેટાચૂંટણીની તારીખો જાહેર કરશે એટલે રાજકીય ગરમાવો પણ જોવા મળશે. આ પ્રવાસમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અન્ય કાર્યક્રમોની જાહેરાત પછી થી થશે.