ગુજરાત
News of Thursday, 20th September 2018

આયુષ્યમાન ભારત યોજનાનો ૨૩મી સપ્ટેમ્બરથી શુભારંભ

રાંચીથી વડાપ્રધાન મોદી રાષ્ટ્રવ્યાપી શરૂઆત કરશેઃ અમદાવાદથી મુખ્યપ્રધાન-નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં શરૂઆત : ગુજરાતના ૪૪ લાખથી વધુ પરિવારને ફાયદો

અમદાવાદ, તા. ૨૦: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, દેશના કરોડો નાગરિકોને ઉચ્ચ પ્રકારની મોંઘી સારવાર વિનામૂલ્યે પુરી પાડવા માટે ભારત સરકાર દ્વારા આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જાહેર કરાઈ છે. જેનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ ૨૩મી સપ્ટેમ્બરે ઝારકંડના રાંચીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાશે. ગુજરાતમાં પણ આ યોજનાનો રાજ્યવ્યાપી શુભારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતેથી થશે. જિલ્લા મથકોએ રાજ્યમંત્રી મંડળના સભ્યો આ યોજનાનો શુભારંભ કરાવશે.  નાયબ મુખ્યમંત્રી પટેલે આ અંગે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્યના ૪૪ લાખથી વધુ પરિવારના ૨.૨૫ કરોડ નાગરિકોને ૧૦૦ ટકા સરકારી ખર્ચે સારવાર પુરી પડાશે. નાના મોટા રોગોમાં વાર્ષિક રૂપિયા ૫.૦૦ લાખની મર્યાદામાં આ યોજના હેઠળ નોંધયોલા પરિવારોને સારવાર પુરી પાડવામાં આવશે. જે હેઠળ પ્રાતમિક, સેકન્ડરી અને ટર્શરી સારવાર માટે પેકેજ નિયત કરી પેકેજના દર મુજબ સારવાર પુરી પડાશે. રાજ્યભરની ૧૭૦૦થી વધુ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આ યોજના હેઠળ સારવાર પ્રાપ્ત થશે.  તમમ હોસ્પિટલોમાં પ્રધાનમંત્રી આયુષ્યમાન મિત્ર ઉપલબ્ધ થશે. જે લાભાર્થીને સારાર સમયે માર્ગદર્શન આપશે અને આ હોસ્પિટલોમાં આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હઠળ સારવાર અંગેનું બોર્ડ લગાવાશે. પટેલે ઉમેર્યું હતું કે, આ યોજના હેઠળ ૬૦ ટકા ખર્ચ કેન્દ્ર સરકાર અને ૪૦ ટકા ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૧-૧૨માં હાથ ધરાયેલ સામાજિક આર્થિક સર્ક્ષણ મુજબ ગુજરાતમાં ૨.૨૫ કરોડ  નાગરિકોને લાભ મળવાનો છે તેનો સંપૂર્ણ ડેટા તૈયાર થઇ ગયો છે. આ પરિવારના નાગરિકોને નાના તથા ગંભીર રોગ સામે સારવાર પુરી પડાશે. જેમાં ૫૦ હજાર સુધીના સારવારનો ખર્ચ વિમા કંપનીઓ દ્વારા હોસ્પિટલોને ચુકવાશે જે માટે રાજ્ય સરકાર દ્વારા વિમા કંપનીને ૧૬૧ કરોડ ચુકવાશે જ્યારે રૂપિયા ૫૦ હજારથી વધુ સારવારનો ખર્ચ થશે તો મા વાત્સલ્ય યોજના મુજબ હોસ્પિટલના બિલની ચકાસણી કરીને ચુકવાશે. આ સેવાઓ માટે કોઇપણ નાગરિકે એક પણ રૂપિયો રોકડ સ્વરુપે કોઇપણ હોસ્પિટલમાં ચુકવવાનો રહેશે નહીં.

(11:02 pm IST)