ગુજરાત
News of Thursday, 20th September 2018

અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન માટે સુરતમાં ડાયમંડ આકારનું ટર્મીનલ બનાવાશેઃ અેકથી વધુ ડાયમંડ અેકસાથે રાખવામાં આવ્યા હોય તેવું દ્રશ્ય જોવા મળશે

વડોદરાઃ અમદાવાદ-મુંબઇ બલુટે ટ્રેન પ્રોજેક્ટમાં સુરતમાં ટર્મિનલ સ્ટોપ આપવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે, આ પ્રોજેક્ટમાં સુરતમાં ડાયમંડ આકારનું બુલેટ ટ્રેન ટર્મિનલ તૈયાર થશે. ડાયમંડ સુરતની એક ઓળખ છે અને દુનિયામાં સૌથી મોટું ડાયમંડ ઉત્પાદક તથા ડાયમંડ પોલીશિંગ શહેર હોવાને કારણે આ ટર્મિનલ ડાયમંડના આકારમાં તૈયાર કરવમાં આવશે. ઔદ્યોગિક શહેર વાપીને ધ્યાનમાં લઇને દક્ષિણ ગુજરાતના છેવાડે સુરતને ટર્મિનલ સ્ટોપ આપવામાં આવ્યો છે. નેશનલ હાઇસ્પીડ રેલ કોરિડોર કોર્પોરેશને અમદાવાદ-મુંબઇ વચ્ચે હાઇસ્પીડ બુલેટ ટ્રેનના સુરત અને વાપી ટર્મીનલની ડીઝાઇન ફાયનલ કરી દેવામાં આવી છે. ટૂંક જ સમયમાં બિલીમોરા ટર્મીનલ માટેની ડીઝાઇન ફાયનલ કરવામાં આવશે.

સુરતને દેશના ડાયમંડ સિટીથી ઓળખવામાં આવે છે. તેથી ટર્મિનલની આખી ઈમારત ડાયમંડ આકારની હશે. જાણે એકથી વધારે ડાયમંડ એક સાથે રાખવામાં આવ્યા હોય એવું બહારથી દેખાશે. જ્યારે સમગ્ર ટર્મિનલનો એરિયલ વ્યુ એક ડાયમંડ આકારનો રહેશે. માત્ર આગળનો ભાગ જ નહીં, અંદરના ફર્નિચરમાં પણ ડાયમંડની થીમ ફોલો કરવામાં આવશે. ઉપરાંત કેરિકેચર અને ટર્મિનલની લાદીઓને પણ ડાયમંડ આકારમાં ગોઠવવામાં આવશે એવું પ્રોજેક્ટ પ્રવક્તા ધનંજયકુમારે જણાવ્યું હતું. સુરતીઓ માટે અંતરોલી સ્ટેશન પર જંકશન આપવામાં આવ્યું છે. જે હાલના સુરત રેલવે સ્ટેશનથી નવ કિમી દૂર છે. જ્યારે નેશનલ હાઇવે 48ની બાજુમાં સુરત ટર્મિનલ બિલ્ડિંગ ઊભુ કરવામાં આવશે.

અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન હાઇસ્પીડ પરિવહન પ્રોજેક્ટમાં સાબરમતી, વડોદરા અને સુરત બાદ વાપી માટે પણ ટર્મિનલ તૈયાર કરવાની યોજના છે. દુર્ગા ગામ નજીક વાપી માટે ટર્મિનલ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેની બાજુમાંથી સ્ટેટ હાઇવ પસાર થાય છે અને આ ટર્મિનલ અને નેશનલ હાઇવે 48 વચ્ચે 5.5 કિમીનું અંતર છે. કુલ 508 કિમીના હાઇસ્પીડ કોરિડોર વચ્ચે 12 ટર્મિનલ બનાવવાનું આયોજન છે. જેમાંથી ચાર મહારાષ્ટ્રમાં અને બાકીના ગુજરાતમાં તૈયાર થશે. ટર્મિનલ બ્રાંદ્રા-કુર્લા કોમપ્લેક્સ, થાણે, વિરાર અને બોઇસરનો સમાવેશ મહારાષ્ટ્રમાં થશે. જ્યારે વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, સાબરમતી અને અમદાવાદનો સમાવેશ ગુજરાતમાં થશે. એટલે આઠ ટર્મિનલ ગુજરાતમાં અને ચાર મહારાષ્ટ્રમાં આકાર લેશે.

આગામી એક મહિના સુધીમાં બાંદ્રા-કુર્લા કોમપ્લેક્સને બાદ કરતા તમામ ટર્મીનલની ડીઝાઇનને અંતિમ ઓપ આપીને કામ શરૂ કરી દેવામાં આવશે. બાંદ્રા-કુર્લા, અમદાવાદ અને વડોદરાને બાદ કરતા બાકીના નવ સ્ટેશન માટે જુદી જુદી ડીઝાઇન નક્કી કરવામાં આવી છે. જેની પેટર્ન્ટ સરખી રહેશે. દરેક ટર્મીનલ સ્ટેશનમાં ત્રણ માળ હશે. જેના ગ્રાઉન્ડ ફ્લોરમાં એન્ટ્રીગેટ રહેશે, બીજા માળે મોટો હોલ હશે જેમાં વેઇટિંગ એરિયા અને રેસ્ટરૂમનો સમવાશે કરાયો છે. જ્યારે ત્રીજા માળે મુખ્ય સ્ટેશન અને પ્લેટફોર્મ રહેશે. પહેલા માળે બુકિંગવિન્ડો, રેસ્ટરૂમ તથા ફૂડકાઉન્ટ અને અન્ય દુકાનને જગ્યા ફાળવવામાં આવી છે.

(5:14 pm IST)