ગુજરાત
News of Thursday, 20th September 2018

સુરતમાં પત્નીઅે પતિનું ગળુ દબાવીને ધક્કો મારતા મોતઃ ઘરકંકાસના કારણે હત્યાની ઘટનાથી ખળભળાટ

સુરતઃ કતારગામ વિસ્તારમાં બુધવારે સાંજે એક મહિલાએ પોતાના પતિને માથામાં ઈજા પહોંચાડી મોતને ઘાટ ઉતાર્યો હોવાની ઘટના સામે આવી રહી છે. આ મામલે કતારગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી મુજબ કતારગામમાં આંબાતલાવડી વિસ્તારની સોનલપાર્ક સોસાયટીમાં અશોક બાબુભાઈ પાનસુરિયા (ઉ.વ.38) પત્ની શિલ્પી અને બાળકો સાથે રહેતા હતા. બુધવારે અશોકભાઈ અને તેમની પત્ની શિલ્પી વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો. જેમાં બંને વચ્ચે થયેલી ઝપાઝપીમાં અશોકભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત થયું હતું.

કતારગામ પીઆઈએ જણાવ્યું હતું કે, શિલ્પા પાનસુરિયા ઘરે સાડીમાં સ્ટોન લગાવી થોડી કમાણી કરતી હતી. જેની સામે અશોક છેલ્લા ઘણા સમયથી કોઈ કામ ધંધો કરતો ન હતો. આ મુદ્દે બન્ને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. દરમિયાન ગત રાત્રિએ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ પકડ્યું હતું. જેમાં બન્ને વચ્ચે છુટા હાથની મારામારી થઈ હતી. શિલ્પાએ અશોકનું ગળું દબાવી દીધું અને ધક્કો મારી દેતાં અશોકનું માથું ભીંતમાં અફડાયું હતું. જેમાં તેનું મોત થતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ આગળ ધપાવી છે.

(5:13 pm IST)