મોડાસામાં મામલતદાર કચેરી મુખ્ય જગ્યા પર લાવવા માટે લોકોની માંગ
મોડાસા:નગરમાં આઠ વર્ષ અગાઉ રૃ.૭ કરોડના અંદાજીત ખર્ચે અદ્યતન મામલતદાર કચેરીનું બાંધકામ કરાયું હતું. પરંતુ જિલ્લો અલગ જાહેર થતાં અને નગરની તમામ કચેરીઓ જિલ્લા સેવા સદન ખાતે ખસેડાતા છેલ્લા બે વર્ષથી તલાટી,મામલતદાર અને સીટી સર્વે કચેરીઓના કામ માટે પ્રજાને ભારે હાલાકી વર્તાઈ રહી છે.ત્યારે મોડાસા મામલતદાર કચેરી નગરના જુના બસ સ્ટેન્ડ પાછળ આવેલ તેની મૂળ જગાએ પરત લાવવા તંત્ર દ્વારા તજવીજ હાથ ધરાઈ હોવાનું સૂત્રો દ્વારા જણાવાયું હતું.
સરકારની યોજનાઓ પ્રજાના મહત્તમ લાભના હેતુથી બનાવવામાં આવે છે.પરંતુ નવરચિત અરવલ્લી જિલ્લાની રચના બાદ મોડાસા નગર માં કાર્યરત અને માત્ર નગરજનો લક્ષી તલાટી કચેરી,સીટી સર્વે કચેરી અને તાલુકાના પ્રજાજનો માટેની મામલતદાર કચેરી નગરથી આશરે અઢી કીમી દૂર સબલપુર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં બંધાયેલ જિલ્લા સેવા સદન માં ખસેડાતાં જ ભારે વિરોધનો સૂર ઉઠયો હતો.