ગુજરાત
News of Thursday, 20th September 2018

સભ્‍યોની ૧૦૦% સંમતિ નહીં હોય તો પણ થઇ શકશે જૂની ઇમારતોનું રિડેવલપમેન્‍ટ

વિધાનસભામાં પસાર થયું બિલ : દરેકની મંજૂરી જરૂરી નથી

અમદાવાદ તા. ૨૦ : જૂની ઈમારતોના રિડેવલપમેન્‍ટની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે ગુજરાત સરકારે બુધવારના રોજ ગુજરાત ઓનરશિપ ફલેટ્‍સ એક્‍ટ ૧૯૭૩માં સુધારો કર્યો છે. આ સુધારા અંતર્ગત ૨૫ વર્ષથી જૂની ઈમારતોને ૭૫% માલિકોની સહમતિથી પણ રિડેવલોપ કરી શકાશે.

ગુજરાત ઓનરશિપ ફલેટ્‍સ બિલ બુધવારના રોજ વિધાનસભામાં પસાર કરવામાં આવ્‍યુ હતું. હવે ફલેટ અથવા અપાર્ટમેન્‍ટના રિડેવલપમેન્‍ટ માટે ૭૫ ટકા સભ્‍યોની સહમતિ પણ ચાલશે. આ પહેલા સભ્‍યોની ૧૦૦ ટકા સહમતિ ફરજિયાત હતી.

જો કોઈ ઈમારત જર્જરિત અવસ્‍થામાં હોય, ગમે ત્‍યારે પડી જાય તેવી સ્‍થિતિ હોય, અથવા તો તેમાં રહેતા લોકો અને તેની આસપાસના બાંધકામને નુકસાન પહોંચવાની શક્‍યતા હોય, તો તેને રિડેવલપમેન્‍ટની મંજૂરી મળે છે. ફલેટ અથવ અપાર્ટમેન્‍ટના દરેક સભ્‍યની મંજૂરી વિના આ શક્‍ય ન હોવાને કારણે રાજય સરકારે કાયદામાં સુધારો કર્યો છે.

સરકાર દ્વારા જણાવવામાં આવ્‍યું છે કે, એવું નોટિસ કરવામાં આવ્‍યું છે કે જો આવી જર્જરિત ઈમારતોને સમયસર રિ-કન્‍સ્‍ટ્રક્‍ટ અથવા રિ-ડેવલોપ કરવામાં ન આવે તો ત્‍યાં રહેલા લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે. આવી સમસ્‍યાઓનું નિરાકરણ લાવવા માટે કાયદામાં સુધારો કરવામાં આવ્‍યો છે. GIHED-CRDAIના પૂર્વ અધ્‍યક્ષ દિપક પટેલ જણાવે છે કે, આ સુધારાથી રિયલ-એસ્‍ટેટ સેક્‍ટરમાં તેજી આવશે.

(11:51 am IST)