ગુજરાત
News of Thursday, 20th September 2018

હાર્દિક પટેલ માનસિક શાંતિ માટે બેંગલુરૂ પહોંચ્‍યો : કરાવશે નેચરોપેથી સારવાર

દિલ્‍હીના મુખ્‍યમંત્રી પણ અવાર-નવાર જિંદાલ નેચરક્‍યોરમાં કુદરતી ચિકિત્‍સા કરાવવા જાય છે

બેંગ્‍લોર તા. ૨૦ : ૧૯ દિવસથી ઉપવાસ કર્યા બાદ પાસ કન્‍વીનર હાર્દિક પટેલે પારણાં કરી લીધા છે. જો કે સરકાર વિરુદ્ધ લડત ચાલુ જ રહેશે તેવી ચિમકી પણ ઉચ્‍ચારી છે. પરંતુ પાસ સમિતિ અને ખાસ કરીને હાર્દિક પટેલ હવે શું કરશે, આ સવાલ સૌકોઇના મનમાં છે, હાલ તેનો જવાબ તો નથી, પરંતુ ૧૯ દિવસ સુધી ઉપવાસ કર્યા બાદ બેંગલોર પહોંચી ગયો છે. હાર્દિક પટેલે કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેણે લખ્‍યું કે તે હાલ બેંગાલુરૂ સ્‍થિત જિંદાલ નેચરક્‍યોર ઈન્‍સ્‍ટિટ્‍યુટમાં છે.

હાર્દિક પટેલે પોતાના સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે બેંગલોર હોવાની વાત શેર કરી છે. હાર્દિકે એક ટ્‍વીટ કર્યું છે, ટ્‍વીટમાં તેણે યોગા કરતો એક ફોટો પણ શેર કર્યો છે. ફોટો કેપ્‍શનમાં તેણે લખ્‍યું કે ભગવત ગીતામાં લખ્‍યું છે કે પોતાની જાતને ઓળખવા માટે યોગા ખુબ જ જરૂરી છે. અંતે લાંબી પ્‍લેન મુસાફરી બાદ બેંગલુરૂ પહોંચી ગયો છું.

કહેવામાં આવી રહ્યું છે કે હાર્દિક પટેલ ટૂંક સમયમાં જ બેંગાલુરૂ જશે, અહીં આવેલી જિંદાલ નેચરક્‍યોર ઇન્‍સ્‍ટિટ્‍યૂટમાં તે નેચરોપેથી સારવાર કરાવશે, ઉલ્લેખનીય છે કે, દિલ્‍હીના મુખ્‍યમંત્રી પણ અવાર-નવાર જિંદાલ નેચરક્‍યોરમાં કુદરતી ચિકિત્‍સા કરાવવા જાય છે.

આ કુદરતી ચિકિત્‍સા દરમિયાન કોઈપણ પ્રકારની ડ્રગ્‍સ(એલોપથી)નો ઉપયોગ કરવામાં આવતો નથી. સૌથી પહેલા અહીં હાર્દિકના શરીરની હાલની સ્‍થિતિની તપાસ કરવામાં આવશે. ત્‍યાર બાદ તેને જરૂરીયાત મુજબ, યોગા, આસન, પ્રાણાયમ, લાફીંગ થેરેપી, એક્‍યુપંક્‍ચર, જિમ અને ફિઝયોથેરેપી કરવામાં આવશે.

જિંદાલનેચર ક્‍યોરમાં માટીના લેપની સાથે સાથે તેલથી મસાજ કરીને પણ સારવાર કરવામાં આવે છે. જેમાં લીંબડો, હળદર અને કુંવારપાઠાની પેસ્‍ટ શરીર પર લગાવીને અડધી કલાક સુધી સામાન્‍ય તડકામાં બેસાડવામાં આવે છે. માત્ર એટલું જ નહીં, ખાવા-પીવાથી લઈ આખી લાઈફ સ્‍ટાઈલને પણ સારવારમાં સામેલ કરવામાં આવે છે.

આ દરમિયાન દિવસમાં બેવાર ભોજન આપવામાં આવે છે. જેમાં લંચ અને બ્રેકફાસ્‍ટ સામેલ છે. જયારે બપોર બાદ ૨ વાગ્‍યે ફરીવાર સારવાર શરૂ થઈ જાય છે. આ સારવાર શરીરમાં રહેલી તકલીફો મુજબ સૌ કોઈ માટે અલગ અલગ હોય છે. જો કે હાર્દિકને ભોજનમાં શું મળશે તે અંગે હજુ કંઈ કહી શકાય તેમ નથી. ખાવા-પીવા અંગે વાત કરીએ તો મોટા ભાગે એક કપ સૂપ, પપૈયા અને તરબૂચની એક એક સ્‍લાઈસ તથા એક ગ્‍લાસ સોયા મિલ્‍ક આપવામાં આવે છે અને સાડા પાંચથી ૬ વાગ્‍યા વચ્‍ચે ડિનર કરાવવામાં આવે છે.

નેચરોપેથીનો મૂળભૂત વિચાર છે કે શરીર માટી, આકાશ, પાણી, વાયુ અને અગ્નિ એમ પંચમહાભૂતનું બનેલું છે અને આ પાંચેય બાબતોમાં સંતૂલન રહે છે અને તેનું સંતુલન બગડવા પર માણસ બીમાર પડે છે. નેચરોપથી દ્વારા તેનું સંતુલન પ્રાકૃતિક રીતે બનાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, જિંદાલ નેચરક્‍યોર ઈન્‍સ્‍ટિટ્‍યુટની શરૂઆત ડો.સીતારામ જિંદાલે કરી હતી. સીતારામ જિંદાલ, જિંદાલ એલ્‍યુમિનિયમ લિમિટેડ કંપનીના માલિક છે

 

(10:58 am IST)