ગુજરાત
News of Thursday, 20th September 2018

ભારતભરના ૧૫ શહેરોમાં એસબીઆઈ ગ્રીન મેરેથોન

અમદાવાદમાં ૧૭ ફેબ્રુઆરી,૨૦૧૯એ આયોજનઃ મેરેથોન માટે થીમ રન ફોર એ ગ્રીન ફ્યુચર : એસબીઆઈ ગ્રીન મેરેથોન આગામી ૬ મહિનામાં ૧૫ શહેરોમાં યોજાશે

અમદાવાદ, તા.૧૯: દેશની સૌથી મોટી વાણિજ્યિક બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એસબીઆઈ ગ્રીન મેરેથોનની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. એસબીઆઇ ગ્રીન મેરેથોનની પ્રારંભિક એડિશનને નોંધપાત્ર સફળતા મળ્યાં પછી હવે બીજી સિઝન શરૂ કરાઇ છે. પોતાની બીજી એડિશનમાં આ મેગા ઇવેન્ટ દેશભરમાં ૧૫ જેટલા વિવિધ શહેરોમાં યોજાશે, જે પર્યાવરણ માટે ઉજ્જવળ ભવિષ્ય માટે કટિબદ્ધ છે. જેમાં એસબીઆઈ ગ્રૂપ આગામી તા.૧૭ ફેબ્રુઆરી, ૨૦૧૯નાં રોજ અમદાવાદમાં ૫,૦૦૦, ૧૦,૦૦૦, ૨૧,૦૦૦ મીટરની મેરેથોનનું આયોજન કરશે. આ ઇવેન્ટ ઝીરો-વેસ્ટ ઇવેન્ટ બનશે અને એમાં ૫૩૦૦ સહભાગીઓ સામેલ થશે એવી અપેક્ષા છે, જેઓ સ્વચ્છ અને પર્યાવરણ માટે અનુકૂળ વિશ્વનાં મહત્ત્વ વિશે જાગૃતિ લાવવા માટે દોટ મૂકશે એમ એસબીઆઈનાં ડીએમડી અને સીએફઓ શ્રી પ્રશાંત કુમારે જણાવ્યું હતું. એસબીઆઈ જનરલ ઇન્શ્યોરન્સ એસબીઆઈ ગ્રીન મેરેથોન માટે હેલ્થ પાર્ટનર બનશે, જેમાં એસબીઆઈ લાઇફ, એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ્સ અને એસબીઆઈ કાર્ડ્સ આ માટે નોંધપાત્ર પ્રદાન પણ કરે છે. દેશના ૧૫ શહેરમાં ગ્રીન મેરેથોન આગામી તા.૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૮નાં રોજ નવી દિલ્હીથી શરૂ થશે અને ત્યારબાદ લખનૌ, હૈદરાબાદ, મુંબઈ, કોલકાતા, બેંગલોર, ત્રિવેન્દ્રમ, ગૌહાટી, ભોપાલ, ભુવનેશ્વર, ચેન્નાઈ, ચંદીગઢ, અમદાવાદ, પટણામાં યોજાશે. છેલ્લી મેરેથોન તા.૪ માર્ચ, ૨૦૧૯નાં રોજ જયપુરમાં યોજાશે. ચાલુ નાણાંકીય વર્ષની એસબીઆઈ ગ્રીન મેરેથોન માટે રન કેટેગરી ૫૦૦૦, ૧૦૦૦૦ અને ૨૧૦૦૦ મીટરની છે. એસબીઆઈનાં ડીએમડી અને સીએફઓ શ્રી પ્રશાંત કુમારે વધુમાં ઉમેર્યું કે, એસબીઆઈ ગ્રીન મેરેથોનની બીજી એડિશન લોંચ કરવાની જાહેરાત કરતાં મને આનંદ થાય છે. એસબીઆઈ ગ્રીન મેરેથોન સાથે બેંકે હરિયાળા વાતાવરણ અને ટકાઉ વિકાસ માટે પોતાની કટિબદ્ધતાને પ્રતિપાદિત કરી છે. અમને દેશભરમાંથી મહત્તમ ભાગીદારીની આશા છે, જે અમને હરિયાળા ભવિષ્યનાં લક્ષ્યાંકને હાંસલ કરવામાં મદદરૂપ થશે. આ મેરેથોન ઇવેન્ટ "રન ફોર ગ્રીન"ની થીમ ઇવેન્ટ દરેક સહભાગી વ્યક્તિને હરિયાળા વિશ્વ માટે પરિવર્તનનાં એજન્ટ તરીકે જુએ છે. તમામ સહભાગીઓને ઓર્ગેનિક ટી-શર્ટ આપવામાં આવશે, જેથી સ્વસ્થ અને હરિયાળા શહેરને પ્રોત્સાહન મળે. રનર્સનાં બિયારણો ધરાવતાં બિડનું વાવેતર પણ મેરેથોન પછી થઈ શકશે.

આ ઝીરો વેસ્ટ ઇવેન્ટ બેંક દ્વારા બાયો ડિગ્રેડેબલ અને રિસાઇકલેબલ સામગ્રીનો ઉપયોગ કરશે. એસબીઆઇ ગ્રુપની આ ઇવેન્ટ દેશભરમાં ગ્રીન એન્વાયર્નમેન્ટનો અનોખો સંદેશો પણ પ્રસરાવશે.

(10:15 pm IST)