ગુજરાત
News of Thursday, 20th September 2018

નોટબંધી-જીએસટીના કારણે ગારમેન્ટને ૩૦ ટકાનો ફટકો

ગુજરાત ગારમેન્ટ મેન્યુફેકચરર્સ દ્વારા સેમિનાર : અમદાવાદ શહેરમાં એપરેલ પાર્ક, ચેક રિટર્નના કેસોમાં ૧૩૮ના કાયદાનું ઝડપી પાલન સહિતની ઘણી માંગ રજૂ

અમદાવાદ,તા.૧૯: કેન્દ્ર સરકારના નોટબંધી અને ત્યારબાદ જીએસટીના નિર્ણયની અમલવારીને લઇ ગુજરાતના ગારમેન્ટ્સ ઉદ્યોગને ૩૦ ટકા સુધીનો ગંભીર ફટકો પડયો છે અને તેમાંથી ગારમેન્ટસ ઉદ્યોગ ધીરેધીરે બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો કે, નિષ્ણાતોના મત મુજબ, હજુ ગારમેન્ટ્સ ઉદ્યોગને આ ખાઇમાંથી બહાર નીકળતાં એકાદ વર્ષ લાગી જશે અને તેથી ગારમેન્ટ્સ ઉદ્યોગના ઉત્કર્ષ, તેના વિસ્તરણ,વ્યાપ અને આ ઉદ્યોગના વેપારીઓ-ઉદ્યોગકારોના પ્રશ્નો, સમાધાન અને માર્ગદર્શન માટે શહેરમાં ધી ગુજરાત ગારમેન્ટ મેન્યુફેકચરર્સ એસોસીએશન દ્વારા એક મહત્વનો સેમીનાર યોજાયો હતો. જેમાં અમદાવાદ શહેર સહિત રાજયભરમાંથી ગારમેન્ટસ ઉદ્યોગના વેપારીઓ, મેન્યુફેકચરર્સ અને ઉદ્યોગકારો હાજર રહ્યા હતા. સેમીનારમાં આ ઉદ્યોગના નિષ્ણાતો અને તજજ્ઞો દ્વારા નાના વેપારીઓ અને ઉદ્યોગકારોને બહુ મહ્ત્વપૂર્ણ સલાહ અપાઇ હતી કે, ગારમેન્ટસ ઉદ્યોગની હાલની પરિસ્થિતિ અને સંજોગો જોતાં જેટલું સેલ કે ડિમાન્ડ હોય તેનાથી ઓછુ ૮૦ ટકા જેટલું જ પ્રોડકશન કરવું,  વધુ પડતો માલ બનાવવો નહી. સાથે સાથે અમદાવાદમાં એપરેલ પાર્ક, ચેક રિટર્નના કેસોમાં ૧૩૮ના કાયદાનું ઝડપી અને અસરકારક પાલન, કેપીટલમાં સબસીડી સહિતની માંગણીઓ પરત્વે સરકાર દ્વારા ત્વરિત નિર્ણય લેવાય તેવી માંગણી પણ ધી ગુજરાત ગારમેન્ટ મેન્યુફેકચરર્સ એસોસીએશન તરફથી રજૂ થઇ હતી. ધી ગુજરાત ગારમેન્ટ મેન્યુફેકચરર્સ એસોસીએશનના પ્રમુખ વિજયભાઇ પુરોહિત અને ગારમેન્ટસ ઉદ્યોગના નિષ્ણાત એવા મુફ્તીના અલ્પેશભાઇ મહેતાએ જણાવ્યું હતું કે, નોટબંધી અને જીએસટીના નિર્ણયની અમલવારી બાદ રાજયના ગારમેન્ટસ ઉદ્યોગને ઘણી ગંભીર અસર થઇ છે. ખાસ કરીને નાના અને મધ્યમ વેપારીઓને ભારે હાલાકી અને કફોડી સ્થિતિનો સામનો કરવો પડયો છે. એકંદરે ગારમેન્ટ્સ ઉદ્યોગનું માર્કેટ ૩૦ ટકા જેટલું તૂટી ગયું છે, જેને ભરપાઇ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે કે જેથી રાજયમાં ગારમેન્ટસ ઉદ્યોગ ફરી પાછો તેજીમાં તેની ગાડી પાટા પર ચઢાવી શકે. ગારમેન્ટ્સ ઉદ્યોગમાં હાલ ૧૬૦ દિવસની સાયકલ થઇ ગઇ છે, તેને પણ પ્રવર્તમાન સંજોગો ધ્યાને લઇ ઓછી કરવી જોઇએ કે જેથી આ ઉદ્યોગ ફરી પાછો ફુલફલેજ રીતે ધમધમતો થઇ શકે. ધી ગુજરાત ગારમેન્ટ મેન્યુફેકચરર્સ એસોસીએશનના પ્રમુખ વિજયભાઇ પુરોહિત અને ગારમેન્ટસ ઉદ્યોગના નિષ્ણાત એવા મુફ્તીના અલ્પેશભાઇ મહેતાએ વધુમાં ઉમેર્યું કે, ગારમેન્ટસ ઉદ્યોગના ઉત્કર્ષ અને તેના વ્યાપ, વિસ્તરણ, હરણફાળ માટે રાજય સરકાર સમક્ષ અમદાવાદમાં ખાસ એપરેલ પાર્કની માંગણી છેલ્લા નવ વર્ષથી પડતર છે. મુખ્ય પ્રશ્ન જગ્યાનો છે, એપરેલ પાર્ક માટે હવે જગ્યાની ફાળવણી સરકારે કરી દઇ આ સમસ્યાનું નિરાકરણ લાવવું જોઇએ. વળી, છેલ્લા કેટલાક સમયથી ગારમેન્ટસ ઉદ્યોગમાં જે પ્રકારે ચીટીંગના કેસો વધી રહ્યા છે, તે જોતાં ચેક રિટર્નના કેસોમાં ઝડપી ન્યાય નહી મળવાથી વેપારીઓ અને ઉદ્યોગકારો ભયંકર હાલાકીનો ભોગ બની રહ્યા છે, તો ચેક રિટર્નના કેસોમાં કલમ-૧૩૮નો કાયદો વધુ અસરકારક અને કડક બનાવવા સરકારે કાર્યવાહી કરવી જોઇએ. ઉપરાંત, ગારમેન્ટસ ઉદ્યોગના કિસ્સામાં કેપીટલમાં સબસીડી અને ઓછા વ્યાજદરની રાહતો પણ સરકારે આપવી જોઇએ.

કલમ-૧૩૮નો કાયદો વધુ કડક બનાવવાના મુદ્દે એસોસીએશન દ્વારા આગામી દિવસોમાં રાજય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં પાંચ હજારથી વધુ ગારમેન્ટ્સ યુનિટ્સ છે. અમદાવાદ શહેર સહિત રાજયભરના ગારમેન્ટસ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ, મેન્યુફેકચરર્સ અને ઉદ્યોગકારોએ ભાગ લીધો હતો.

(10:15 pm IST)