નશીલા પર્દાથના કારોબારનો પર્દાફાશ કરવામાં ડીસીપી ડો.હર્ષદ પટેલની હેટ્રીક
અમદાવાદમાં ટુંકાગાળામાં ત્રીજી વાર ગાંજોનો જથ્થો મળ્યો
રાજકોટ, તા., ર૦: અમદાવાદ એસઓજી (ક્રાઇમ બ્રાન્ચ)માં ડીસીપી તરીકે પોતાની પસંદગી સાર્થક ઠેરવતા હોય તેમ નવનિયુકત નાયબ પોલીસ કમિશ્નર ડો. હર્ષદ પટેલે નશીલા પદાર્થના કારોબારનો ત્રીજી વખત ટુંકાગાળામાં પર્દાફાશ કરી હેટ્રીક સર્જી છે.
ઇન્ચાર્જ ખાસ પોલીસ કમિશ્નર દિપેન ભદ્રન તથા ડીસીપી ડો.હર્ષદ પટેલ અને મદદનીશ પોલીસ કમિશ્નર બી.સી.સોલંકીના માર્ગદર્શનમાં બાપુનગર-સુંદરમનગર હાઉસીંગના મકાનો તરફ જવાના રસ્તા પર મોહમદ સમીર ખલીલ અહેમદ અંસારીની ખાસ બાતમી આધારે અટક કરી તેની અંગઝડતી લેતા તેની પાસેના થેલામાંથી કુલ ૧ કિલો ર૮૦ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસ ઇન્સ્પેકટર એ.ડી.પરમાર તથા પીએસઆઇ એ.એ.દેસાઇ અને ટીમ સામેલ થઇ હતી.
પોલીસ તપાસમાં મજકુર આરોપી અગાઉ પણ બાપુનગર પોલીસ સ્ટેશનના ગુન્હામાં પોલીસ સકંજામાં આવી ચુકયાનું બહાર આવતા આ આરોપી કેટલા સમયથી નશીલા પદાર્થના કારોબાર સાથે જોડાયેલ છે? કઇ કઇ સ્કુલ-કોલેજ નજીક વેચાણ થાય છે? તે આ ગાંજો કયાંથી લાવે છે? તેની સાથે અન્ય કોણ-કોણ સામેલ છે. તે બાબતની વિસ્તૃત પુછપરછ ડીસીપી ડો.હર્ષદ પટેલના સુપરવીઝનમાં ચાલે છે.