ગાંધીનગર જિલ્લામાં શ્રાવણ મહિનાની પહેલાજ ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 3 શકુનિઓને ઝડપી પાડયા
ગાંધીનગર:જિલ્લામાં શ્રાવણ પહેલા જ જુગારની મોસમ ખીલી છે ત્યારે ગાંધીનગર એલસીબીએ બાતમીના આધારે અંબાપુરના જુગારધામ ઉપર દરોડો પાડીને નવ શખ્સોને તીનપત્તીનો જુગાર રમતાં ઝડપી લીધા હતા અને તેમની પાસેથી ૪૬ હજાર ઉપરાંતની રોકડ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જુગારીઓ સામે એપેડેમીક એકટની કલમ હેઠળ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
શ્રાવણ મહિનામાં આમ તો જુગારની પ્રવૃતિ વધુ ફુલતી ફાલતી હોય છે પરંતુ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં શ્રાવણ પહેલા જ જુગારીઓ સક્રિય થઈ ગયા છે અને ઠેકઠેકાણે જુગારધામો ધમધમી ઉઠયા છે ત્યારે આવી સ્થિતિમાં ગાંધીનગર એલસીબી પીઆઈ જે.જી.વાઘેલાએ પણ સ્ટાફના માણસોને એલર્ટ રહી જુગારીઓ સામે કાર્યવાહી કરવા માટે તાકીદ કરી હતી. જેના અનુસંધાને એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેકો.મુકેશસિંહને બાતમી મળી હતી કે અંબાપુર ગામે ઓએનજીસીના કુવાની ખુલ્લી જગ્યામાં જુગાર રમાઈ રહયો છે. જે બાતમીના પગલે દરોડો પાડતાં અંબાપુર ગામના ધરમચોક ખાતે રહેતા રાજુભાઈ કેશવલાલ પટેલ, જુહાજીવાળા વાસમાં રહેતા સુનિલ વિક્રમભાઈ ઠાકોર, ભોયણીયાવાસના દિનેશજી સુરસંગજી ઠાકોર, જુહાપરુમાં રહેતા રાકેશ અમરાજી ઠાકોર, મહાવીર હીલ્સ એ-૧૦૪માં કોબા રહેતા કુંજલ ગોવિંદભાઈ પટેલ, અમદાવાદ સરદારનગરના દિપક ચંદ્રકુમાર દતવાણી, રાજભવન કવાટર્સ ઈન્દિરાબ્રીજ હાંસોલમાં રહેતા ગોપાલ નરસીભાઈ ઘીવાળા, આંબાવાડી સરદારનગરના જેકી દ્રારકાદાસ લાલવાણી અને સમરથનગર હાંસોલમાં રહેતાં કૈલાસભાઈ ભાગચંદભાઈ મોટવાણીને જુગાર રમતાં ઝડપી પાડયા હતા અને તેમની પાસેથી ૪૬૨૦૦ની રોકડ કબ્જે કરીને જુગારધારા ઉપરાંત એપેડેમીક એકટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.