કારના જોરદાર અકસ્માતમાં બે વિદ્યાર્થીનીના થયેલા મૃત્યુ
ટાયર ફાટતાં કાર ઝાડ સાથે જોરદાર અથડાઈ : જીવલેણ માર્ગ અક્સ્માતમાં અન્ય ૩ વિદ્યાર્થી ઘાયલ થયા
ટ્ઠઅમદાવાદ, તા.૨૦ : ગાંધીનગરના કુડાસણ રોડ પર ભાઈજીપુરા ગામ નજીક વહેલી પરોઢે કારનું ટાયર ફાટતા સર્જાયેલા ગંભીર જીવલેણ અકસ્માતમાં બે વિદ્યાર્થિનીઓના કરૂણ મોત થયાં હતાં. જ્યારે અન્ય ત્રણ વિદ્યાથીઓને ગંભીર ઇજા થતાં સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ કારના કૂર્ચેકૂર્ચા બોલી ગયા હતા અને લગભગ સમગ્ર કારના ટાયરથી માંડી એકએક પાર્ટસ વિખરાઇ ગયા હતા. આ અંગે પ્રાપ્ત માહતી મુજબ, વહેલી સવારે પાંચ વાગ્યે ફિઝિયોથેરાપી કોલેજમાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થી અને બે વિદ્યાથિનીઓ અમદાવાદથી ગાંધીનગર તરફ કારમાં જઈ રહ્યા હતા. એ વખતે કુડાસણ રોડ પર ભાઈજીપુરા ગામ નજીક કારનું ટાયર ફાટતા કાર પલટી મારી ત્રણ ઝાડ સાથે અથડાઈ હતી
અને કારના ટુકડે-ટુકડા થઈ ગયા હતા અને જોરદાર રીતે ફુર્ચા બોલી ગયા હતા. કારમાં બેઠેલી રાધનપુરની ઉર્વશી પરમાર અને હિંમતનગરના નવાગામની રહેવાસી તેની મિત્ર સમતા સુથારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બંને વિદ્યાર્થિનીઓ ફિઝિયોથેરાપિસ્ટના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. જ્યારે તેમની સાથેના ત્રણ વિદ્યાર્થીઓને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઇન્ફોસિટી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. જો કે, બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી
અને ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. ખાસ કરીને ગાંધીનગરમાં શિક્ષણ સંસ્થાઓ વધુ હોવાથી અને શૈક્ષણિક હબ હોવાથી સમગ્ર વિદ્યાર્થી આલમમાં પણ આ અકસ્માતને પગલે શોકની લાગણી પ્રસરી ગઇ હતી.