ગુજરાત
News of Saturday, 20th July 2019

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ જામ્યો

મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠામાં વરસાદ : સૌરાષ્ટ્રના જામનગર સહિત અનેક વિસ્તારોમાં વરસાદના કારણે ખેડુતોમાં ખુશીનુ મોજુ : લાંબા વિરામ બાદ વરસાદ

અમદાવાદ, તા. ૨૦ : સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્યગુજરાતમાં કેટલાક ભાગોમાં ફરીએકવાર વરસાદી માહોલ જામતા ખુશીનું મોજુ ફરી વળ્યું છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલના કારણે ખેડુતોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. બીજીબાજુ હવામાન વિભાગ તરફથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વલસાડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ગીરસોમનાથ, અમરેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ તરફથી અમદાવાદ માટે પણ હળવા ઝાપટાની આગાહી કરવામાં આવી છે. લાબા વિરામ બાદ ઉત્તર ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં હવામાનમાં પલટો આવ્યા બાદ આજે વરસાદી માહોલ રહ્યો હતો. મહેસાણાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ વરસાદ પડ્યો છે. બીજી બાજુ સૌરાષ્ટ્રના જે વિસ્તારમાં વરસાદ થયો છે તેમાં જામનગર અને આસપાસના વિસ્તારોનો સમાવેશ થાય છે. અમરેલી, જુનાગઢમાં પણ વરસાદ થયો છે. મધ્યગુજરાતમાં પંચમહાલ ખાતે વરસાદી ઝાપટા પડ્યા છે. ધાર્મિક વિસ્તાર ગણાતા ખેડબ્રહ્મામાં પણ વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહી શકે છે. બીજીબાજુ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, ખેડા અને આણંદનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે. જેમાં રાજકોટ, ગીરસોમનાથ, દેવભૂમિ દ્ધારકા, ભાવનગરનો સમાવેશ થાય છે. વરસાદની ઉત્સુક્તા પુર્વક રાહ જોવાઈ રહી છે ત્યારે લાંબા વિરામ બાદ વરસાદ પડતા ખેડુતોમાં ખુશી જોવા મળી રહી છે. હજુ સુધીના આંકડા દર્શાવે છે કે, ગુજરાતમાં ૪૪ ટકા સુધી જ ઓછો વરસાદ નોંધાયો છે. ૧૮મી જુલાઈ સુધીના આંકડાને ધ્યાનમાં લેવામાં આવે તો રાજ્યમાં ઓછા વરસાદનો આંકડો અથવા તો રેઇન ડેફિસિટનો આંકડો ૪૪ ટકા રહ્યો છે. ૧૮મી જુલાઈ સુધીમાં સામાન્યરીતે ગુજરાતમાં ૨૬૧.૨ મીમી સુધીનો વરસાદ થઇ જાય છે પરંતુ હજુ સુધી માત્ર ૧૪૫.૭ મીમી સુધીનો વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધારે માઠી અસર થઇ છે. અહીં ઓછો વરસાદનો આંકડો ૬૩ ટકા સુધીનો રહ્યો છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સારા વરસાદ પડી શકે છે.

અમદાવાદમાં મોનસુનની વચ્ચે પારો ૪૧ ડિગ્રી.....

અમદાવાદમાં લોકો ગરમીથી ત્રસ્ત

અમદાવાદ, તા. ૨૦ : અમદાવાદ શહેરમાં લોકો હજુ પણ જોરદાર ગરમીનો અનુભવ કરી રહ્યા છે. પારો સતત નીચે જવાના બદલે ૪૦ અને ૩૯ ડિગ્રી વચ્ચે રહ્યો છે. મોનસુનની સીઝનમાં પારો અમદાવાદમાં ૪૧ પહોંચ્યો છે ત્યારે જાણકાર લોકોમાં આની ચર્ચા જોવા મળી રહી છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી રહ્યું હતું. ડિસામાં પણ પારો ૪૧ ડિગ્રી સુધી પહોંચ્યો છે. વરસાદમાં બ્રેકની સ્થિતિને લીધે તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, આવતીકાલે પણ પારો યથાવત રહી શકે છે. હળવો વરસાદી ઝાપટાની આગાહી તંત્ર દ્વારા કરવામાં આવી છે. આંશિક વાદળ છાયુ વાતાવરણ હોવા છતાં વરસાદની શક્યતા હાલ દેખાઈ રહી નથી. ડિસામાં પણ પારો આજે વધીને ૪૧.૨ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો.

(8:20 pm IST)