બાપુનગરની પરિણીતાએ સાસરિયાના ત્રાસથી કંટાળી ગળેફાંસો ખાધો
અમદાવાદ:બાપુનગરમાં રહેતી પરિણીતાએ સાસરીયાઓનાં સારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પતિને પડોશી મહિલા સાથે આડા સંબંધ હોવાથી પત્ની સાથે અવારનવાર ઝઘડા થતા હોવાનું પોલીસે જણાવ્યું હતું. બાપુનગર પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.આ બનાવની વિગત મુજબ મહેસાણામાં રહેતા અરવિંદજી બી.સોલંકીની દિકરી કિરણ(૨૫)ના લગ્ન ૨૦૧૪માં માણસામાં રહેતા પાર્થ પરથીજી દેવડા સાથે થયા હતા અને તેઓ બાપુનગરમાં યોગેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા હતા. લગ્નના એકાદ વર્ષ બાદ પતિ, સાસુ અને નણંદ દહેજ માટે કિરણને ત્રાસ આપવા લાગ્યા હતા. તે સિવાય પતિ પાર્થને તેમના ઘર સામે રહેતી કિરણ નામની પરિણીત મહિલા સાથે આડા સંબંધ હોવાથી તે પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપીને છુટાછેડા લેવા માટે દબાણ કરતો હતો. આ અંગે કિરણ તેના માતાપિતાના ઘરે આવે ત્યારે વાત કરતી હતી.દરમિયાન ૧૮ જુલાઈના રોજ કિરણે બાપુનગરના ઘરે ગળાફાંસો ખાઈ લીને આપઘાત કરી લીધો હતો. આ અંગે અરવિંદજીએ કિરણના પતિ પાર્થ, સાસુ ટીકાબા પરથીજી દેવડા, નણંદ ધારાબહેન અને પડોશમાં રહેતી મહિલા કિરણબહેન સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાવતા બાપુનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.