ચીખલી નજીક સુરતના પ્રવાસી ઓની કાર પલ્ટી જતા ગંભીર અકસ્માત : 8 વર્ષના બાળકનું મોત
વઘઇથી સાપુતારાને સાંકળતા માર્ગમાં અકસ્માત સર્જાયો
સુરત :વઘઇથી સાપુતારા વળાંક માર્ગે ચીખલી નજીક સુરતના પ્રવાસી ઓની કાર પલ્ટી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ડાંગ જિલ્લાનાં વઘઇથી સાપુતારાને સાંકળતા આંતરરાજ્ય ધોરીમાર્ગનાં ચીખલી ગામ નજીક સુરતનાં પ્રવાસી પરિવારની આઈ-20 કાર પલ્ટી મારી ગઈ હતી. આ કારમાં સવાર 8 વર્ષીય બાળકનું ગંભીર ઈજાઓનાં કારણે મોત નિપજતા સાપુતારા પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર કપિલભાઈ અરવિંદભાઈ પટેલ (રે.ગોડાદરા સુરત) જેઓ પરિવાર સાથે આઈ-20 કાર.ન.જી.જે.05.આર.સી.7892માં સવાર થઈ સાપુતારાની સહેલગાહે જઈ રહયા હતા. તે દરમ્યાન વઘઇથી સાપુતારાને સાંકળતા આંતર રાજ્ય ધોરીમાર્ગનાં ચીખલી ગામ નજીક ગફલતભરી રીતે કારને હંકારી સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ આઈ-20 કાર માર્ગની સાઈડનાં ખાડામાં ખાબકી પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અહી સ્થળ ઉપર આઈ-20 કારનો ખુરદો બોલાઈ ગયો હતો.
આ અકસ્માતનાં બનાવમાં કારમાં સવાર 8 વર્ષીય બાળક કબીર પટેલને શરીરનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યુ હતુ. જયારે કારમાં સવાર અન્ય ચાર ઇસમોને પણ ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવારનાં અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની શામગહાન સી.એચ.સીમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. હાલમાં સાપુતારા પોલીસની ટીમે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે