ગુજરાત
News of Sunday, 20th June 2021

અનૈતિક સંબંધોના પરિણામે મહિલા દ્વારા બાળકીની હત્યા

અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો : પતિ બાળકીને નહીં સ્વીકારે અને પોતાને નહીં રાખે તે વાતનો ડર રાખીને મોટું પાપ કર્યુ હતું, ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી

અમદાવાદ,તા.૨૦ : અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જે લાલબત્તી સમાન છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નવજાત બાળકીની હત્યા મામલે તેની માતાની ધરપકડ કરી લીધી છે અને જેલ સળિયા પાછળ ધકેલી દીધો છે. મળતી માહિતી પ્રમાણે ગત ૧૪ ફેબ ૨૦૨૧ના રોજ એલિસબ્રિજ વિસ્તારમાં કચરાની ગાડીમાં એક નવજાત બાળકીની લાશ પ્લાસ્ટિકની પોલોથીનમાં મળી આવી હતી અને જે મામલે પાલડીના સેનેટરી ઇન્સ્પેકટર દ્વારા એક ફરિયાદ આપવામાં આવી હતી. આ મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે એક મહિલા જે કોચરબગામના ઠાકોર વાસના રાઠોડ ભુવન નામના મકાનના ત્રીજા માળે રહે છે, આ બાળકી તેની છે અને તેણે બાળકીની હત્યા કરી ફેંકી દીધેલ છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરી આરોપીની પૂછપરછ કરવામાં આવી તો તેણે ગુનો કબૂલી લીધી અને ત્યાર બાદ વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે મહિલાનું સાસરુ યુપીમાં છે.

       તેના લગ્નના ૪ વર્ષ પહેલાં થયા હતા અને તે ત્યાં સંયુકત પરિવારમાં રેહતી હતી. તેના પતિ અમદાવાદમાં આવી સિક્યુરિટી ગાર્ડમાં નોકરી કરતા હતા અને એકલા રહેતા હતા. આરોપીને અનૈતિક સંબંધોના કારણે બાળકી થયેલ અને જે બાબતે તેના પતિ સાથે બોલા ચાલી પણ થયેલ.મહિલા ૬ મહિના પહેલા અમદાવાદ ખાતે આવેલ અને તેની સારવાર ચાલી રહી હતી. ગત ૧૩ ફ્રેબુઆરી રોજ આરોપીના પતિ ૨૪ કલાકની નોકરી પર ગયેલ ત્યારે તેને પ્રસુતિની પીડા થયેલ અને તેને બાળકીને જન્મ આપેલ. જોકે બાળકીના જન્મ બાદ તેને વિચાર આવેલ કે આ બાળકી અનૈતિક સંબંધોના કારણે થયેલ છે. જેથી તેનો પતિ રાખશે નહીં અને તેને પણ કાઢી મૂકશે તે બધું મનોમન વિચારી ને બાળકીનું ગળું દબાવી ને હત્યા કરી પ્લાસ્ટિકની પોલોથીનમાં બધી ને ફેંકી દીધેલ. હાલ આ મામલે વધુ કાર્યવાહી કરવા માં આવી રહી છે.

(7:42 pm IST)