પેટલાદના બાંધણી ગામે તકરારની રીસ રાખી ઝઘડો કરી સામસામે થયેલ મારામારીમાં બેને ગંભીર ઇજા
પેટલાદ: તાલુકાના બાંધણી ગામના ભુવાલપુરા ખાતે રસ્તાની બાબતે થયેલી તકરારની રીસ રાખીને ફરીથી ઝઘડો થતાં બેને માથાના ભાગે લાકડાના ડંડા મારી દેતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અંગે મહેળાવ પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરી તપાસ હાથ ધરી છે.
હિતેશભાઈ અરવિંદભાઈ સોલંકીએ આપેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે, ગઈકાલે સાંજના સાડા સાતેક વાગ્યાના સુમારે તેમના કાકા કનુભાઈ આશાભાઈ સોલંકી ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે ચન્દ્રેશભાઈ ચીમનભાઈ સોલંકીએ અગાઉ રસ્તા બાબતે થયેલી તકરારની રીસ રાખીને ગમે તેવી ગાળો બોલી હતી. તેમનું ઉપરાણું લઈને જગદીશભાઈ રાવજીભાઈ સોલંકી આવી ચઢ્યો હતો અને કનુભાઈને માથામાં ખોળીવાળી લાકડી મારી દેતાં તેઓ લોહીલુહાણ થઈ જવા પામ્યા હતા. ગીરીશભાઈએ ધારીયુ લઈ આવીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જ્યારે મનિષભાઈ ચીમનભાઈ સોલંકીએ કનુભાઈને ગડદાપાટુનો માર માર્યો હતો.