ગુજરાત
News of Thursday, 20th June 2019

અનુસુચિત જાતિ ઉપરનાં અત્યાચારનાં કિસ્સામાં ૧૬ કરોડ-અનુસુચિત જનજાતિના કિસ્સામાં રૂ. ૩ કરોડની સહાય અપાઇ

ગાંધીનગરમાં વિજયભાઇ રૂપાણી, નીતિનભાઇ પટેલ, પરેશભાઇ ધાનાણીની ઉપસ્થિતિમાં રાજયસ્તરની તકેદારી અને મોનિટરીંગ સમિતિની બેઠક યોજાઇ

ગાંધીનગર, તા. ર૦ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, રાજયમાં સામાજિક સમરસતા-સદભાવનું શાંતિપૂર્ણ વાતાવરણ રહે તે માટે અનૂસુચિત જાતિ-જનજાતિ, પીડિત, શોષિત, દલિત વર્ગો પરના ખૂન, બળાત્કાર, મહાવ્યથા સહિતના ગંભીર અત્યાચારોના કિસ્સામાં અત્યાચાર આચરનારા આરોપી પકડવા, ચાર્જશીટ તૈયાર કરવા સહિતની કામગીરી પર વિશેષ ફોકસ કરવામાં આવશે.

આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, આવા વંચિત વર્ગોના સૌને સામાજીક ન્યાય મળે, રક્ષણ મળે તેવી સુદ્રઢ વ્યવસ્થા અને મોનિટરીંગ માટે રાજય સરકાર સંપુર્ણ પ્રતિબધ્ધ છે.

શ્રી વિજયભાઇ રૂપાણી સામાજીક ન્યાય અને અધિકારીતા તથા આદિજાતિ વિકાસ વિભાગની રાજયસ્તરીય તકેદારી અને મોનિટરીંગ સમિતીની બેઠકના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા.

ગાંધીનગરમાં યોજાયેલી આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, વિધાનસભા વિપક્ષના નેતા શ્રી પરેશભાઇ ધાનાણી, મંત્રીશ્રીઓ સર્વશ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા , ગણપતસિંહ વસાવા અને ઇશ્વરભાઇ પરમાર, પ્રદિપસિંહ જાડેજા તેમજ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે અનૂસુચિત જાતિઓ, જનજાતિઓ, દલિત-આદિવાસી સમાજ પરના અત્યાચારોના કિસ્સામાં સરકાર કોઇને પણ છોડશે નહિ જ.

આવા કિસ્સાઓમાં અત્યાચાર નિવારણ જ નહિ, છેવાડાના માનવીને ન્યાયમાં-સરકારમાં ભરોસો વિશ્વાસ રહે તેવું વાતાવરણ બને તે માટે આ સમિતિ ખાસ તકેદારી સાથે સુદ્રઢ આયોજન કરે તે પણ જરૂરી છે.

અત્યાચારોના કિસ્સામાં દોષિતોને સખત સજા થાય અને પીડિતોને સાચો ન્યાય-સુરક્ષા મળે તે સરકારની પ્રતિબધ્ધતા છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું. નાયબ મુખ્યમંત્રીશ્રી અને વિપક્ષના નેતાશ્રીએ પણ આ બેઠકની ચર્ચાઓમાં વિવિધ સૂઝાવ આપ્યા હતા.

શ્રી વિજયભાઇ રૂપાણીએ સામાજિક સમરસતાને વિકાસનો પાયો ગણાવતાં એમ પણ કહ્યું કે, રાજયમાં જે ૩ર ગામો, ર૦ મહોલ્લાઓમાં લાંબાગાળાથી પોલીસ રક્ષણ હેઠળ વ્યકિતઓ-પરિવારો રહે છે ત્યાં સામાજીક શાંતિ-સૌહાર્દ સદભાવ પ્રસ્થાપિત થાય અને સૌ પૂનૅં હળી મળીને રહેતા થાય તે માટે જિલ્લા કલેકટર, એસ.પી, જનપ્રતિનિધિ, સ્થાનિક અગ્રણીઓ સૌ સાથે મળીને સામાજિક ચળવળ-ઝૂંબેશ ચલાવે.

બેઠકની ચર્ચાઓ દરમ્યાન જણાવવામાં આવ્યું હતું કે, રાજય સરકારે અનૂસુચિત જાતિ-જનજાતિઓ જાતિઓ પરના અત્યાચારના બનાવોમાં સુધારેલ સહાયના ધોરણો જાહેર કર્યા છે.

તદ્દઅનુસાર, અનુસૂચિત જાતિઓ પરના અત્યાચારના કિસ્સાઓમાં પાછલા ૧ વર્ષમાં રૂ. ૧૬ કરોડની સહાય ભોગ બનેલા વ્યકિતઓને ચુકવવામાં આવી છે. અનુસૂચિત જનજાતિઓના કિસ્સામાં રૂ. ૨ કરોડ ૮૪ લાખ સહાય અપાઇ છે.

રાજયમાં આવા અત્યાચારના કેસો માટે ૧૬ એકસલુઝીવ સ્પેશ્યલ કોર્ટની રચના કરવામાં આવી છે અને કેસોની સુનાવણી ઝડપી થાય, ગૂનેગારને ત્વરાએ સજા દંડ થાય અને પીડિતોને યોગ્ય ન્યાય મળે તે સરકારે સુનિશ્યિત કર્યુ છે. એટલું જ નહિ, ૧૭ સ્પેશ્યલ કોર્ટ પણ જાહેર કરવામાં આવી છે.

મુખ્યમંત્રીશ્રીએ સામાજીક સમરસતા-સૌહાર્દ શાંતિ જળવાઇ રહે અને સમગ્ર રાજયનું વાતાવરણ વિકાસમય રહે તે માટે તાલુકા, જિલ્લા સ્તરે નિયમીત પણે સંબંધિત સૌ સાથે મળી બેઠકો યોજે તેવું પ્રેરક સૂચન કર્યુ હતું.

સામાજીક ન્યાય અધિકારીતાના અગ્ર સચિવ શ્રી મનોજ અગ્રવાલે બેઠકના વિવિધ એજન્ડાઓ પર પ્રેઝન્ટેશન કર્યુ હતું અને સરકારની કામગીરીની સંપૂર્ણ માહિતી રજૂ કરી હતી.

મુખ્ય સચિવ શ્રી ડાઙ્ખ. જે. એન. સિંહ, પોલીસ મહાનિદેશક શ્રી શિવાનંદ જહા, મહેસૂલના અધિક મુખ્ય સચિવશ્રી, આદિજાતિ, સમાજ સુરક્ષા, સમાજ કલ્યાણના વરિષ્ઠ સચિવો અને અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા.

(3:44 pm IST)