સુરતના પાલનપુર જકાતનાકા પાસે પતિએ ગળાના ભાગે ચપ્પુના ઘા ઝીકી પત્નીને મોતને ઘાટ ઉતારી
બંનેએ 13 વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા :ઘરકંકાસને કારણે બે બાળકોની નજર સામે જ માતાની ક્રૂર હત્યા
સુરતના પાલનપુર જકાતનાકા પાસે પતિએ પત્નીની કરપીણ હત્યા કરી દેતાં ચકચાર મચી જવા પામી છે. ઘર કંકાસને કારણે રોષે ભરાયેલાં પતિએ બાળકોની નજર સામે જ પત્નીને ગળાનાં ભાગે ચપ્પાનાં ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, 13 વર્ષ પૂર્વે બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા. પણ ઘર કંકાસને કારણે આજે બે બાળકોને માતા ગુમાવવાનો વારો આવ્યો છે.
સુરતના પાલનપુર જકાતનાકા પાસે આવેલી એવરગ્રીન સોસાયટીમાં પતિએ પત્નીની ઘાતકી હત્યા કરી દીધી હતી. પતિ પત્નીએ 13 વર્ષ પૂર્વે પ્રેમ લગ્ન કર્યા હતા. અને આ લગ્નજીવનમાં તેમને બે બાળકો પણ છે. ઘર કંકાસને કારણે પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હતા. ઝઘડાં થતાં હોવાને કારણે પત્ની 22 જૂનથી પતિથી દૂર થઈ બાળકો સાથે ભાડાના મકાનમાં રહેતી હતી. પતિ રત્નકલાકાર હતો, જ્યારે પત્ની એમ્બ્રોઈડરીનું કામ કરતી હતી.